સુરત
ઓમિક્રોનના ખતરાને આગળ વધતો અટકાવવા માટે તથા તમામ શહેરીજનોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા આજે પ્રથમ ડોઝ માટે ૪૪ સેન્ટર અને બીજા ડોઝ માટે ૯૧ સેન્ટર પર બીજા ડોઝ માટે વેક્સિન અપાઈ રહી છે. જ્યારે ૨ વિદેશ જનારાને રસી અપાઈ રહી છે. આ સાથે ૧૧ કોવેક્સિન સેન્ટર પર રસી અપાઈ રહી છે.આમ કુલ ૧૪૮ સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.સુરતમાં ઓમિક્રોનના બે કેસ થતા પાલિકા સતર્ક બની છે. કાપડ અને હીરા બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. સાથે જ વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે. શુક્રવારે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા છે. સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાઈ છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. પાલિકા આગામી ૨૭મીના રોજ મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરી રહી છે. શુક્રવારે શહેરમાં ૧૮ અને જિલ્લામાં ૦૧ કેસ સાથે વધુ ૧૯ કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૪૨૪૬ થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૮ થયો છે. જ્યારે ૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં ૧૪૨૦૩૫ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૦૪ નોંધાઈ છે. સુરતમાં ઓમિક્રોનના બે કેસ થતા પાલિકા સતર્ક બની છે. ઓમિક્રોન પોઝિટિવના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.


