સુરત
દિવાળીના મિની વેકેશન બાદ ફરી એકવાર બજારો ધીરે-ધીરે શરૂ થવાની શરૂઆત થઇ ગઇ છે. આજના દિવસમાં વેપારીઓ પોતાની દુકાનો અને લાભ પાંચમના દિવસે શરૂ કરીને વિધિવત રીતે ધંધાની શરૂઆત કરી દેતા હોય છે. વર્ષોથી ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટમાં આ પ્રકારની પદ્ધતિ ચાલી આવી છે. ડાયમંડ ફેક્ટરીઓમાં પણ આજના દિવસે શરૂઆત કરવામાં આવતી હોય છે. ટેક્સટાઈલના વેપારીઓ દ્વારા મુહૂર્ત જાેઇને પૂજા કરવામાં આવે છે તો કેટલાક લોકો લાભ પાંચમના દિવસે સવારમાં અચૂક પૂજાની શરૂઆત કરી દેતા હોય છે. કાપડના વેપારી હરેશ લાલવાણીએ જણાવ્યુ કે લાભપાંચમના દિવસે અમે દર વર્ષે મુહૂર્ત જાેઈને દુકાનો ખોલીને શુભ શરૂઆત કરીએ છીએ. વર્ષોની પરંપરા પ્રમાણે ગ્રાહકો પણ અમને ઓર્ડર આપતા હોય છે. આજના દિવસમાં અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે આગામી દિવસોની અંદર તહેવારો અને લગ્ન પ્રસંગોની ખરીદી ખૂબ જ સારી રીતે થાય. કોરોના સંક્રમણ બાદ આ વખતે ખૂબ સારી રીતે ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજી જાેવા મળી છે. એવી જ સ્થિતિ આગામી દિવસોમાં પણ જાેવા મળે તો ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ સારી રીતે આગળ વધશે. કોરોના સંક્રમણના લોકડાઉન જેવા સમયને પસાર કર્યા બાદ ફરી એકવાર વેપાર-ધંધા પુરપાટ ઝડપે આગળ વધી રહ્યા છે. વિશેષ કરીને સુરત જેવા ઔદ્યોગિક નગરની અંદર દિવાળીના સમયે દરેક ઉદ્યોગમાં ધમધમાટ જાેવા મળ્યો હતો. ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી કરતા લોકો બજારમાં દેખાયા હતા. લાભપાંચમના દિવસે જ્ઞાન પૂજાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે લાભપાંચમને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. જૈનાચાર્ય દ્વારા વેસુ ખાતે જ્ઞાનપંચમીના વિશેષ મુહૂર્તમાં પુસ્તકોની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આચાર્ય દ્વારા વિધિવત રીતે જ્ઞાનના પ્રકાશ રૂપે પુસ્તકોનો મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જૈન મહંતો શ્રાવકો ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરતમાં કાપડ માર્કેટ સહિત વેપાર-ધંધાની આજથી વિધિવત રીતે શરૂઆત કરવામાં આવી હતી.
