Gujarat

સુરત: કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ ગુજસીટૉક હેઠળ ગુનો દાખલ, 2 ઝડપાયા

સુરત: શહેર પોલીસે ‘ગુજસીટૉક’ (GujCTOC Act) હેઠળ અનેક ગુનામાં સંડોવાયેલા રામપુરાના કુખ્યાત અશરફ નાગોરી અને તેની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જ્યારે તેના 2 સાગરિતોને ઝડપી પાડવામાં આવ્યા છે, પરંતુ અશરફ નાગોરી હાલ ફરાર છે.

અશરફ નાગોરી ગેંગ સુરતના લાલગેટ,અઠવા,ચોકબજાર, મહીધરપુરા,સલાબતપુરા,રાંદેર અને સૈયદપુરા વિસ્તારમાં સક્રિય છે. અશરફ નાગોરી અને તેના સાગરિતો વિરુદ્ધ મારામારી, હથિયારોના વેચાણ અને ખંડણી સહિતના 25થી વધુ ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. આટલુ જ નહીં, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં પણ અશરફ નાગોરીનું નામ આવ્યું હતું.

જણાવી દઈએ કે, ગુજસીટોક કાયદા (GujCTOC Act) હેઠળ અવારનવાર ગુના આચરી લોકોમાં ભયનો માહોલ ઉભો કરનારા માથાભારે તત્વોને જેલમાં ધકેલવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત સોમવારે સ્થાનિક લાલગેટ પોલીસે અશરફ નાગોરી ગેંગના ગુનાહિત ઈતિહાસનો રિપોર્ટ સુરત પોલીસ કમિશ્નર અજય તોમરને સોંપ્યો હતો. જે બાદ કમિશ્નરે આરોપી અશરફ નાગોરીની ગેંગ વિરુદ્ધ ગુજસીટૉક (GujCTOC Act) હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. જે અંતર્ગત પોલીસે અશરફ નાગોરી ગેંગના 2 સાગરિતોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજસીટૉક (GujCTOC Act) હેઠળ સુરતમાં આ ત્રીજો ગુનો નોંધાયો છે. અગાઉ આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક કાયદા (GujCTOC Act) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (આરોપી અશરફ નાગોરી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *