વડોદર
વડોદરા શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી સ્ટીલના સ્ક્રેપની કંપનીમાં શુક્રવારે સાંજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયરના લાશ્કરોની ત્વરિત કામગીરીને પગલે કંપનીમાં મોટું નુકસાન થતા બચ્યું હતું.
વડોદરાના છેવાડે આવેલી મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી જાનકી લાલ નંદલાલ નામની કંપનીના કંપનીમાં આગ લાગવાની વધુ એક ઘટના બની હતી.ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ મકરપુરા જી.આઇ.ડી.સીમાં આવેલી જાનકી લાલ નંદલાલ પ્રા.લી. નામની કંપની શેડ નં. ૪૦૧ માં આવેલી છે. કંપની સાંજે બંધ હતી. ત્યારે તેમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાને કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. ધુમાડાના ગોટા આસપાસની કંપનીના કર્મીઓ જાેઇ જતા તાત્કાલિક ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ફાયરના લાશ્કરોને કોલ મળતા જ તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.
ફાયરની કામગીરીને પગલે આગ ફેલાતા અટકી હતી. એટલું જ નહિ કંપનીને મોટું નુકસાન પણ અટકાવી શકાયું હતું.ફાયર સુત્રોના જણાવ્યા પ્રમાણે, આગ લાગવા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી. આ મામલે વધુ તપાસ બાદ જ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટસરકીટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યુ છે.


