આગામી દિવસોમાં ગુરૂનાનક જયંતી જેવા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેશ.પી.પંડયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ તા.૦૮ નવેમ્બરથી તા.૦૭ ડિસેમ્બર ૨૦૨૧ના ૨૪-૦૦ કલાક સુધી જામનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવી છે.
આ સમય દરમ્યાન શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, અથવા લાઠી અથવા શારીરીક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ સાધન લઇ જવા નહી, કોઇપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળા વિગેરે પદાર્થો લઇ જવા નહી, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઇ જવા નહિ, મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા કે બાળવા નહી, અપમાનો કરવાના અથવા જાહેર કરવાનાં ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહી, ગીતો ગાવા નહી અને ટોળામાં ફરકવું નહી. પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ કે સિનેમા હોલમાં તથા એમ.પી.શાહ મ્યુનિ. ટાઉન હોલમાં પ્રવેશવું નહીં.
આ જાહેરનામું ફરજ પરના અધિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેમને ફરજ નિમિતે હથિયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અધિકારી/કર્મચારી હથીયાર ધરાવતા હોય તેને, જેઓને શારીરિક અશક્તિને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને, પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રીથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને, યજ્ઞોપવિત અપાતુ હોય તેવા બડવાઓને દંડ રાખેલ હોય તેને, પોલીસ અધિક્ષકશ્રી અગરતો તેઓશ્રીએ નિયુક્ત કરેલ અધિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યક્તિને, કિરપાણ રાખેલ શીખને લાગુ પડશે નહિં.
આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંઘન બદલ ઓછામાં ઓછા ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.
