નડિયાદ
મહુધા તાલુકાના મહિસા તાબેના ઓધવજીની મુવાડીમાં રહેતા ૪૫ વર્ષિય સિંકદરખાન અહેમદખાન ભટ્ટી પઠાણ ગત રવિવારના રોજ પોતાના ઘરે હતા. આ સમયે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં તેમની નાની બહેન નસીમબીબીના સાસરીના માણસો ત્યાં આવ્યા હતા. જેમાં નસીમબીબીના જેઠ અને દાદા સસરા વગેરેએ જણાવ્યું હતું કે તેઓ નસીમબીબીના છુટાછેડા લેવા માટે આવ્યા છે. આ સમયે સિંકદરખાન અને તેમના પરિવારના લોકોએ કહ્યું હતું કે અમારે છુટાછેડા લેવાના નથી, તેણીને સાસરે મોકલવાની છે. તેમ કહેતાં ગામના ચાર લોકોએ આ બાબતે નસીમબીબીના સાસરી પક્ષનું ઉપરાણું લઈ સિંકદરખાનના ઘર પાસે જઈ તેમની સાથે ઝઘડો કર્યો હતો. નસીમબીબી છુટાછેડા આપી દો તેમ કહી આ ચારેય વ્યક્તિઓ તેમને અપશબ્દો બોલવા લાગ્યા હતા. સિંકદરખાને અપશબ્દો બોલવાની ના પાડતાં વાત વધુ વણસી હતી અને ઝઘડામાં પરિણમી હતી. આક્રોશમાં આવેલા ચારેય લોકોએ સિંકદરખાન સાથે ઝપાઝપી કરી હતી. ઉપરાંત એક વ્યક્તિએ ખાટલાની લાકડાની ઈસ સિંકદરખાનને મારી હતી. સિંકદરખાને બુમરાણ મચાવતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેથી હુમલાખોરો નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે સિંકદરખાન પઠાણે હુમલો કરનાર ગામના મહેમુદખાન નીઝામખાન પઠાણ, સદામખાન હુસેનખાન ભટ્ટી પઠાણ, ઇમરાનખાન હુસેનખાન ભટ્ટી પઠાણ અને અબીદખાન હુસેનખાન ભટ્ટી પઠાણ સામે મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતીમહુધાના ઓધવજીની મુવાડીમાં છુટાછેડા બાબતની તકરારમાં ઝઘડો થતાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. ગામના જ ચાર શખ્સોએ એક વ્યક્તિ પર હુમલો કરતાં હુમલાખોરો સામે ઘવાયેલા ઈસમે ફરિયાદ નોંધાવી હતી.
