Gujarat

માનસિક અસ્થિર ભીક્ષુકનુ કાર અડફેટે મોત

ભાવનગર,
ભાવનગર જિલ્લામાં ગત રાત્રીના સમયે જુદાં-જુદાં બે સ્થળોએ હિટ એન્ડ રનના બનાવ બન્યા હતા જેમાં ઘોઘાના સાણોદર નજીક કારે અડફેટે લેતા માનસિક અસ્થિર જણાતા ભિક્ષુકનું મોત થયું હતું જ્યારે નીરમા કંપની પાસે ટ્રક ડ્રાઈવરને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોત થયું હતું. જિલ્લામાં હિટ એન્ડ રનના જુદાં-જુદાં બે બનાવોમાં ૨ના મોત થયાં છે જેમાં ઘોઘાના સાણોદર ગામના પાટિયા પાસે રોડ પર એક અંદાજે ૩૫ વર્ષના માનસિક અસ્થિર ભિક્ષુકને ભાવનગરથી તળાજા તરફ જતી એક સફેદ કલરની કારે અડફેટે લીધો હતો. જેને જીઆરડી જવાન દેવજીભાઈ તથા વિષ્ણુભાઈ દ્વારા ખાનગી વાહનમાં સર ટી. હોસ્ટિટલે સારવારઅર્થે લાવ્યા હતા જેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતા. આ મામલે જીઆરડી જવાન દેવજીભાઈ અભાભાઈ ચુડાસમાએ ઘોઘા પોલીસમાં અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો પ્રમાણે આ ભિક્ષુક છેલ્લા ૬ મહિનાથી ભંડારિયા તણસા વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતો હતો અને માનસિક અસ્થિર જણાતો હતો. જેની ઓળખ થઈ શકી નથી. જ્યારે અન્ય એક બનાવમાં નિરમા કંપની ખાતે ટ્રક લઈને આવેલા ખુશાલભાઈ કલ્યાણભાઈ પરમાર (ઉ.વ.૫૪, રહે.ધંધુકા)એ ટ્રકની બેટરી ચેક કરવા ટ્રક રોડની સાઈડમાં ઊભો રાખી નીચે ઉતર્યા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લઈ મોત નિપજાવ્યું હતું. આ અંગે વિનોદભાઈ કલ્યાણભાઈ પરમારે વેળાવદર ભાલ પોલીસમાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *