Gujarat

મોદી-શાહના વિશ્વાસુ IPS એકે શર્મા નિવૃતિના 15 દિવસ પહેલા પાછા ગુજરાત કેડરમાં મુકાયા

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક સમયના અત્યંત વિશ્વસનીય ગુજરાતના સીનિયર IPS અધિકારી અરૂણ કુમાર શર્મા નિવૃતિના 15 દિવસ પહેલા ગુજરાત કેડરમાં પાછા ફર્યા છે. એકે શર્મા 31 જાન્યુઆરીએ વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે. એકે શર્માનું કેન્દ્રમાં એમપેનલમેન્ટ થયુ નહતું એટલે રીટાયરમેન્ટમાં લાભ ના થાય જેને કારણે તેમણે પરત ગુજરાત લાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે 1987 બેન્ચના આઇપીએસ અધિકારીઓને એમપેનલ કર્યા બાદ આ બેન્ચના આઇપીએસ અધિકારીઓને ડીજી રેન્કમાં બઢતી આપી હતી. ગુજરાત કેડરના 1987 બેન્ચના એડિશનલ ડીજી રેન્કના સીનિયર આઇપીએસ અધિકારી અરૂણ કુમાર શર્માને કેન્દ્ર સરકારે ડીજી બનાવ્યા નહતા. કેન્દ્રમાં 1987 બેન્ચના આઇપીએસ અધિકારીઓ ડીજી બની ગયા પરંતુ અરૂણ કુમાર શર્માને ડીજીમાં બઢતી ના આપતા ઘણા આઇપીએસ અધિકારીઓને નવાઇ લાગી હતી. કારણ કે, આઇપીએસ અરૂણ કુમાર શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના અત્યંત વિશ્વાસુ અધિકારી હતા. એકે શર્મા ગુજરાત પાચા ફરતા નિવૃતિ પહેલા ડીજીનું પ્રમોશન આપવામાં આવશે. શર્માને નિવૃતિ બાદ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આઇપીએસ એકે શર્મા મહેસાણા જિલ્લાના એસપી હતા. મોદી વિધાનસભાની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા ત્યારે એકે શર્માને મહેસાણાથી બદલી કરીને રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાંથી સૌ પ્રથમ અરૂણ કુમાર શર્માને કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર લઇ ગયા હતા અને સીબીઆઇમાં જોઇન્ટ ડાયરેક્ટર બનાવ્યા હતા પરંતુ ગુજરાતના જ સીનિયર આઇપીએસ રાકેશ અસ્થાના સાથેના ઝઘડાના કારણે તે જ સમયના સીબીઆઇ ડાયરેક્ટર અરૂણ કુમાર શર્મા અને રાકેશ અસ્થાના સામ સામે આવી ગયા હતા અને એક બીજા ઉપર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, જેના કારણે આ ત્રણેય સીનિયર આઇપીએસ અધિકારીઓને સીબીઆઇમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ અરૂણ કુમાર શર્માને સીઆરપીએફમાં એડિશનલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. તેઓ દિલ્હી સીઆરપીએફ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા.

ગુજરાતના આઇપીએસ અરૂણ કુમાર શર્મા મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજકીય ઓપરેશનો આ અધિકારી જ પાર પાડતા હતા તેવુ ચર્ચાતુ હતું. તેમનો દબદબો એટલો હતો કે, ગુજરાતના સીનિયર અધિરકારીઓ તેમનાથી ગભરાતા હતા. એવુ કહેવાતુ હતું કે, અરૂણ કુમાર શર્મા પાસે ગુજરાતના તમામ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની કુંડળી રહેતી હતી અને તેના આધારે જ તેઓ ઉપરથી જે આદેશો આવતા હતા તે પ્રમાણે કામ કરતા હતા. એકે શર્મા ગાંધીનગર રેન્જ આઇજી તરીકે પણ રહ્યા હતા અને આઇબીમાં ઘણો લાંબો સમય સુધી પણ રહ્યા હતા તેમ છતા તેમણે ડીજીમાં બઢતી નહી મળવાનું કારણ સીબીઆઇમાં થયેલી નારાજગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *