Gujarat

વડોદરાની મિશનરી સંસ્થા દ્વારા ચાલતી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ

વડોદરા
વડોદરાની મિશનરી સંસ્થા દ્વારા બાળકીઓને ગળામાં ક્રોસ પહેરાવવામાં આવે છે અને ભોજનમાં વેજ અને નોનવેજ આપવામાં આવે છે. આ ઉપરાંત બાળકીઓને બાઇબલ વાંચન કરવા માટે પણ આપવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે, પંજાબી પરિવારની યુવતીનું લગ્ન ખ્રિસ્તી ધર્મ પ્રમાણે કરાવવામાં આવ્યું છે. મકરપુરા પોલીસ મથકમાં ઇ. સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મકરપુરા રોડ પર મિશનરીઝ ઓફ ચેરિટી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થા આવેલી છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ચાઇલ્ડ રાઇટ્‌સના ચેરપર્સન પ્રિયંક કાનુન્ગોએ ૨૯ ઓગસ્ટે વડોદરાની મુલાકાત વેળા આ સંસ્થાની મુલાકાત લીધા બાદ સુઓમોટો કોગ્નીઝન્સ લઇ સંસ્થા સામે ફોજદારી ધારાની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવા સૂચના આપી હતી. આ બાબતે સંસ્થાની ચાઇલ્ડ વેલ્ફેર કમિટી, વડોદરાના ચેરમેન શંકરલાલ ત્રિવેદી તેમજ કમિટી સભ્યોએ ૯ ડિસેમ્બરે મુલાકાત લીધી હતી. જેમાં સંસ્થામાં ચાલતી ધર્મ પરિવર્તન અંગેની માહિતી મળી હતી. જેના આધારે તેઓએ ૧૧ ડિસેમ્બરે કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. જે બાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવાએ ઇ. સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સામે ફરિયાદ કરવા હુકમ કરતાં તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ૧૦ ફેબ્રુઆરીથી ૯ ડિસેમ્બર સુધીમાં હિન્દુ ધર્મની ધાર્મિક લાગણીને આઘાત પહોંચાડવાના હેતુપૂર્વક અને દ્વેષપૂર્વકના ઇરાદાથી ચિલ્ડ્‌ર્ન હોમ ફોર ગર્લ્સમાં રહેતી બાળકીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા અને લલચાવવા ગળામાં ક્રોસ પહેરાવી તથા બાળકીઓ ઉપયોગ કરે તે સ્ટોર રૂમના ટેબલ પર બાઇબલ મૂકી તે વાંચન કરવા આપી ધર્મ પરિવર્તન કરવાના પ્રયત્નો કરી ગુનો આચર્યો છે. ફરિયાદમાં જણાવાયા મુજબ સંસ્થામાં રહેતી પંજાબી પરિવારની યુવતીનું લગ્ન ખ્રિસ્તી ધર્મ પ્રમાણે કરાવાયું છે. બાળકીઓને ધર્મ પરિવર્તન કરવા પ્રોત્સાહન અપાય છે. સંસ્થામાં આવતી બાળકીઓના રિપોર્ટ કરાતો નથી. મકરપુરા પોલીસે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના સંચાલક સામે ગુનો દાખલ કર્યો છે.શહેરના મકરપુરા રોડ ઉપર આવેલ મિશનરીઝ ઓફ ચેરિટી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ દ્વારા સંસ્થામાં રહેતી બાળકીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લાલચ આપવામાં આવતી હોવાનો આરોપ લગાવતી ફરિયાદ મકરપુરા પોલીસ મથકે નોંધાતાં ખળભળાટ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *