જામનગરના દરેડ ખાતે માં દર્શન ગૌશાળા દ્વારા કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો.
ગૌશાળાના સર્વે ટ્રસ્ટીઓનો સન્માન બદલ આભાર વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગાય પૂજનીય છે, તે સમયે ત્યજાયેલી-નિરાધાર ગાયોની ગૌશાળા દ્વારા સંભાળ લેવામાં આવે છે તે સમાજમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વળી ગાયના છાણ અને મૂત્ર દ્વારા સેન્દ્રીય ખાતર, જીવામૃત વગેરે ઉત્પાદો દ્વારા ખેડૂતો માટે ઉત્તમ એવી પ્રાકૃતિક ખેતીમાં ગાય ઉત્કૃષ્ટ યોગદાન આપે છે. પ્રાકૃતિક ખેતી થકી ઓછા ખર્ચમાં ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે, સાથે જ જમીનની ફળદ્રુપતા વધે છે. સરકાર દ્વારા પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માસિક ગાય નિભાવ ખર્ચ માટેની સહાય પણ આપવામાં આવે છે. આમ ગાય માતાના સ્થાન સાથે ગાયનું વિશિષ્ટ મહત્વ જોડાયેલું છે. હાલ ગુજરાતમાં બે લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે ત્યારે અન્ય ખેડૂતો પણ રાસાયણીક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તેવી અભ્યર્થના મંત્રીશ્રીએ વ્યકત કરી હતી. મંત્રીશ્રી એ માં દર્શન ગૌશાળાની કામગીરીની પ્રસંશા કરી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી પૂનમબેન માડમએ કૃષિમંત્રીશ્રીની કાર્યશૈલીની પ્રશંસા કરી નવી જવાબદારીઓ સાથે લોકસેવામાં વધુ આગળ વધવા શુભેચ્છા પાઠવી હતી.
માં દર્શન ગૌશાળામાં ૩૨૫થી વધુ નિરાધાર- ત્યજાયેલ ગૌવંશની સેવા કરવામાં આવે છે. પશુઓ માટે ૨૪*૭ એમ્બ્યુલન્સ, પ્રાથમિક સારવાર માટે એક પશુ ચિકિત્સક અને ૩૦ સ્વયં સેવકો ઉપસ્થિત રહે છે.
આ સમારોહમાં મેયર શ્રી બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, મહામંત્રી શ્રી ગોપાલભાઈ સોરઠીયા તથા વિવિધ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, માં દર્શન ગૌશાળાના પ્રમુખશ્રી ચંદુભાઈ મુંગલપરા, ટ્રસ્ટીશ્રીઓ રામજીભાઇ દુધાગરા, નંદલાલભાઇ ભંડેરી, કલ્પેશભાઇ સાવલીયા, માવજીભાઇ રામોલીયા, ઘનશ્યામભાઇ સંઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
