સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
થાય તંત્ર હવે જો વધુ સતર્ક, મુસાફરો આ યુગમાં વધુ સુલભ સગવડો માંગે છે.
સાવરકુંડલા શહેરમાંથી પસાર થતી ટ્રેનો નિર્દેશ કરેલાં કોચ નંબર મુજબ ઊભી ન રહેતાં મુસાફરોને ખાસ્સી પરેશાની ભોગવવી પડે છે. આમ તો સાવરકુંડલા શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી એટલે કે કોરોના કાળ પહેલાં જે લોકલ ટ્રેનો ચાલતી તે હાલ તો ચાલુ નથી. અહીં સાવરકુંડલાથી સુરત મુંબઈ, મહુવા કે ભાવનગર જતી ટ્રેનો હાલ એક્સપ્રેસ કે સુપર ફાસ્ટ હોવાથી તેનો હોલ્ટ માત્ર એક બે મિનિટ પૂરતો હોય લોકોને નિર્દિષ્ટ કરેલાં કોચ નંબર પર ગાડીનાં ડબ્બા ન ઊભા રહેતાં ટ્રેનમાં ચડવા માટે ભારે દોડધામ કરવી પડે છે. ટૂંકા સમયમાં નાનાં બાળકો સિનિયર સિટીઝનો સાથે મુસાફરી કરતાં કુટુંબોને ટ્રેનમાં ચડવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એમાં પણ રાત્રિનાં સમયે તો વધુ તકલીફ થાય એ સ્વાભાવિક છે. તો આ સંદર્ભે રેલ્વે તંત્ર યોગ્ય સંજ્ઞાન લઈને રેલવે સ્ટેશન પર નિર્દિષ્ટ કરેલાં કોચ નંબર દર્શાવતાં બોર્ડ પાસે જ ટ્રેનનાં ડબ્બા ઊભા રહે એવી વ્યવસ્થા કરવામાં આવે તેવી આવતાં જતાં મુસાફરોની માંગ ઉઠવા પામી છે..
હાલ રેલસુધારણા કાર્યક્રમ અંતર્ગત કોચ નંબર દર્શાવતાં બોર્ડ પણ ડિઝીટલ બને અને મુસાફરોને પડતી હાલાકી તરફ રેલવે વિભાગ યોગ્ય ધ્યાન આપે એ જ સમયની સાચી માંગ છે.

