વડોદરા
હું વર્ષોથી હોટલ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયલો હતો અને યુકે. યુએસ અને કેનેડામાં નોકરી કરતો હતો, પરંતુ આ દરમિયાન મને વિચાર આવ્યો કે મારી સ્કીલનો હું મારા માટે વાપરું, જેથી હું ૨૦૧૫માં ભારત આવી ગયો અને મે કંઇક નવું કરવાનું નક્કી કર્યું અને ફૂડ ડિલિવર ટ્રેન તૈયાર કરી અને પિત્ઝા ટ્રેનની પહેલી રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. શરૂઆતમાં ખૂબ સંઘર્ષ કર્યો, પરંતુ અમે મુશ્કેલીના સમયમાં પણ ટકી રહ્યા અને આજે અમારી અને ફ્રેન્ચાઇઝી મળીને કુલ ૬ પિત્ઝા રેસ્ટોરન્ટ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન અમારો વ્યવસાય ઠપ થઇ ગયો હતો. અમને ખૂબ મોટું નુકસાન સહન કરવુ પડ્યું. પણ અમે હિંમત હાર્યા વિના કોરોનાકાળ પછી ફરીથી રેસ્ટોરન્ટ શરૂ કરી અને ફરીથી અમે આગળ વધી રહ્યા છીએ. આગમી સમયમાં અમદાવાદ અને રાજકોટમાં રેસ્ટોરન્ટ શરૂ કરવાનું અમારું ધ્યેય છે અને ત્યાર બાદ અમે દેશભરમાં અમારા બિઝનેસને આગળ વધારવાનો લક્ષ્યાંક રાખીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે ટેસ્ટ, ટેક્નોલોજી અને ટ્રેનનો સમન્વય પણ અમે કર્યો છે. લોકોને હેલ્દી અને ટેસ્ટી જમવાનું અમે આપીએ છીએ. લોકોને અમારી રેસ્ટોરન્ટમાં આવીને ખાવાની સાથે સારો અનુભવ પણ થાય છે. અહીં આવતા લોકોને પણ ટ્રેન દ્વારા જમવાનું ટેબલ પર આવે એ યુનિક અને નવો જ કોન્સેપ્ટ લાગે છે. અને અદભુત અનુભવ કરીને ઘરે પરત ફરે છે. ઉદ્યોગ સાહસિક નીરવ પટેલે જણાવ્યું હતું કે મારો ભાઇ મનીષ કેનેડાથી પરત આવ્યો, ત્યાર બાદ મેં ફૂડ ટ્રેન તૈયાર કરી હતી, જે રોબોટની જેમ કામ કરે છે અને ગ્રાહક સુધી ફૂડ પહોંચાડે છે. આ ટ્રેન તૈયાર કરવામાં મને ૬ મહિના જેટલો સમય લાગ્યો હતો. ત્યાર બાદ અમે એની પેટન્ટ કરાવી હતી. રાજકોટની કોલેજમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને ત્યાંથી હું યુકે. યુએસ અને કેનેડા ગયો, ત્યાં ૧૨ વર્ષ નોકરી કરી, પણ મને અંદરોઅંદર આપણા દેશમાં આવીને કંઇક અલગ કરવાની ઇચ્છા હતી. આ દરમિયાન યુએસની એક રેસ્ટોરાંમાં ટ્રેન મારફત પીરસવામાં આવતા ભોજનનો આસ્વાદ કર્યો હતો. ત્યારે જ નક્કી કર્યું હતું કે ભારતમાં જઇને ભારતીય ટેક્નોલોજીથી આ પ્રકારની રેસ્ટોરન્ટ શરૂ કરવી છે, જેથી હું કેનેડાથી વડોદરા આવી ગયો, અહીં આવીને મેં ભાઇ સાથે મળીને વડોદરામાં પહેલી પિત્ઝા ટ્રેનો રેસ્ટોરન્ટ શરૂ કરી, ત્યાર બાદ સુરતમાં પણ રેસ્ટોરન્ટ શરૂ કરી, હાલ સુરત અને વડોદરામાં ૬ પિત્ઝા રેસ્ટોરન્ટ ચલાવીએ છીએ…આ શબ્દો છે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય..આ કહેવતને વડોદરામાં રહેતા બે ભાઇઓએ સિદ્ધ કરી બતાવી છે. મૂળ ભરૂચના અને હાલ વડોદરામાં સ્થાયી થયેલા ઉદ્યોગ સાહસિક મનીષ પટેલ(ઉં.૪૦) અને નિરવ પટેલ(ઉં.૩૭) વડોદરા અને સુરતમાં લા પિત્ઝા ટ્રેનો રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમની પોતાની ૩ પિત્ઝા રેસ્ટોરન્ટ છે અને ૩ રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝી આપેલી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ અને ત્યાર બાદ આખા દેશમાં પોતાનો બિઝનેસ વધારવાનું બંને ભાઇઓ લક્ષ્ય છે. મનીષ પટેલ તો કેનેડાની જાણીતી કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા હતા અને ત્યાં તેમનો વાર્ષિક પગાર ૬૦ લાખ રૂપિયા હતો. ૬૦ લાખની નોકરી છોડીને તેઓ કેનેડાથી વતન ગુજરાતમાં આવી ગયા અને અહીં તેઓ હવે પિત્ઝાચેઇન થકી વર્ષે ૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. તેમની રેસ્ટોરેન્ટમાં જમવા માટે આવતા લોકો જુદા જ પ્રકારનો નવો અનુભવ કરે છે. સૌપ્રથમ અહીં વેઇટર દ્વારા ગ્રાહક પાસેથી ઓર્ડર લેવામાં આવે છે. ત્યાર બાદ ઓર્ડર પ્રમાણે પેન્ટ્રીમાંથી પિત્ઝાને બહાર લાવી તેને ટ્રેન સાથે રહેલી ટ્રેમાં મૂકવામાં આવે છે. ટ્રેન મારફત પિત્ઝાને લોકો પાસે મોકલવામાં આવે છે. પિત્ઝા ટેબલ પર પહોંચે ત્યારે વેઇટર દ્વારા પિત્ઝા ગ્રાહકને પીરસવામાં આવે છે અને લોકો તેનો આનંદ માણે છે. આ ટ્રેનને વાઇફાઇ દ્વારા લેપટોપથી ઓપરેટ કરવામાં આવે છે. જેમાં જે ટેબલ સિલેક્ટ કરે ત્યાં ટ્રેન ઉભી રહે છે. દરેક ટેબલને વડોદરાના વિવિધ વિસ્તારોના નામ આપવામાં આવ્યા છે.
