મુંબઈ
કપિલ દેવે બીસીસીઆઇની પણ આકરી ટીકા કરીને જણાવ્યું હતું કે, વર્તમાન વર્લ્ડ કપમાં જે ભૂલો થઈ છે તેનું પુનરાવર્તન ના થાય તેની બોર્ડ તકેદારી રાખવી પડશે. વિશ્વમાં તમે સૌથી અમીર બોર્ડ છો તો તમે પ્રત્યેક વર્લ્ડ કપ ખરીદી શકો છો તેવું નથી, વર્લ્ડ કપ જીતવો પડે છે. તમારી પાસે નાણાં છે તો તેનો એવો મતલબ થતો નથી કે તમે તમામ મેચ જીતશો. ભારતીય ક્રિકેટને વધારે સારી રીતે આયોજિત કરવાની જરૂર છે. બોર્ડે પ્રતિબદ્ધતાની સાથે ચોક્કસ પ્લાનિંગ કરવાની જરૂર છે. ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી છે. કોહલી અને તેની ટીમ સુપર–૧૨ રાઉન્ડમાં જ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારવાની સાથે જ વર્લ્ડ કપ જીતવાની હોડમાંથી બહાર થઈ ગઈ હતી. ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા સુકાની કપિલ દેવે ભારતના નાલેશભર્યા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરીને બીસીસીઆઇની પણ આકરી ઝાટકણી કાઢી હતી. કપિલ દેવે જણાવ્યું હતું કે, વર્લ્ડ કપ ખતમ થઈ જશે તો ભારતનું ક્રિકેટ પૂરું થઈ જવાનું નથી. આઇપીએલ અને વર્લ્ડ કપની વચ્ચે મોટો સમયગાળો હોવો જરૂરી છે. વર્તમાન સમયના આપણા ખેલાડીઓને આઇપીએલના સ્વરૂપે મોટી નામના મળી રહી છે. ખેલાડીઓ જ્યારે દેશને પ્રાધાન્ય આપ્યા વિના આઇપીએલમાં મળતા નાણાંને વધારે મહત્ત્વ આપતા હોય તો આપણે કશું કહી શકતા નથી. પ્રત્યેક પ્લેયરે દેશ માટે રમવાની બાબતને વધારે પ્રાથમિકતા આપવી જાેઈએ. મારા મતે દેશની ટીમ પ્રથમ અને ત્યારબાદ કોઈ ફ્રેન્ચાઇઝી આવે છે.


