મુંબઈ
દેશમાં ઓમિક્રોનના ભય વચ્ચે સારા સમાચાર આવ્યા છે. રાજસ્થાનના જયપુરમાં ઓમિક્રોન સંક્રમિત તમામ ૯ દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ગુરુવારે આ તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ડોક્ટરે આ તમામ લોકોને ૭ દિવસ ક્વોરન્ટીન રહેવાની સલાહ આપી છે. ગઈકાલે દેશમાં કોરોનાના ૮૫૦૩ કેસ નોંધાયા છે, જ્યારે ૬૨૪ લોકોનાં મોત થયાં છે. હાલ દેશમાં ૯૪ હજાર ૯૪૩ એક્ટિવ કેસ છે. દેશમાં અત્યારસુધી ૩ કરોડ ૪૬ લાખ ૭૪ હજાર ૭૪૪ કેસ નોંઘાયા છે અને ૪ લાખ ૭૪ હજાર ૭૩૫ લોકોનાં મોત થયાં છે.કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર એટલે કે મુંબઈના ધારાવીમાં પહોંચ્યો છે. આ વેરિયન્ટથી સંક્રમિત દર્દી મળ્યા બાદ બૃહદમુંબઈ મહાનગર પાલિકાની ચિંતા વધી ગઈ છે. આ શખસ ટાન્ઝાનિયાથી પરત ફર્યો હતો. મુંબઈનું ધારાવી પહેલાં પણ કોરોનાનું હોટસ્પોટ રહી ચુક્યું છે. સંક્રમિતને હાલ સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેનામાં સંક્રમણના કોઈ લક્ષણ નથી. મુંબઈમાં ૩ અને પિંપરી ચિંચવાડમાં ઓમિક્રોનના ૭ નવા કેસ જાેવા મળ્યા છે. હવે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ ૧૭ અને દેશમાં ૩૨ કેસ થઈ ગયા છે. લખનઉના કમિશનર કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમનો પહેલો ટેસ્ટ કરાયો જેમાં તેઓ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. જે બાદ તેમનું બીજું સેમ્પલ લેવાયું છે જેનો રિપોર્ટ આવતીકાલે આવશે. કમિશનરના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરાવવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી યુપીના પ્રવાસે જવાના છે ત્યારે તેમની આ વિઝિટ પહેલાં લખનઉના કમિશનરનો કોરોના રિપોર્ટ કરાયો હતો જેમાં તેઓ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ રાજસ્થાનમાં ઓમિક્રોન સંક્રમિત થયેલા લોકોના સંપર્કમાં આવેલી મહિલા દિલ્હીમાં કોરોના સંક્રમિત મળી આવી છે. જેને લોક નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો બ્રિટનથી ફ્લાઈટમાં ગોવા એરપોર્ટ પહોંચેલા ત્રણ પેસેન્જર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેમાંથી એક ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે.


