નવીદિલ્હી
પાકિસ્તાનના નવા સેના પ્રમુખ અસીમ મુનીર તરફથી ભારતને ધમકી અપાયા બાદ ભારતમાં આકરી પ્રતિક્રિયા જાેવા મળી રહી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પર પાકિસ્તાનના નવા સેના પ્રમુખ અસીર મુનીરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું કે પીઓકે પાછું લેવા માટે આ યોગ્ય સમય છે. હરીશ રાવતે કહ્યું કે હાલ પાકિસ્તાન નબળી પરિસ્થિતિમાં છે અને આ જ યોગ્ય સમય છે કે જ્યારે આપણે પાકિસ્તાન પાસેથી પીઓકે પાછું મેળવી શકીએ છીએ. કોંગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું કે પીઓકેને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવવું એ આપણી જવાબદારી છે. અમે કોંગ્રેસ સરકારના સમયમાં સંસદમાં પ્રસ્તાવ પસાર કર્યો હતો. હવે મોદી સરકારે તેને પણ પોતાના એજન્ડામાં સામેલ કરવું જાેઈએ. આ જ એ સમય છે કે આપણે પાકિસ્તાન પાસેથી પીઓકે પાછું લઈ શકીએ તેમ છીએ. અત્રે જણાવવાનું કે ઉત્તરી સેના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ હાલમાં કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને પાછું લેવા જેવા આદેશો પૂરા કરવા માટે તૈયાર છે. ભારતીય સેનાના અધિકારીના નિવેદન બાદ અસીમ મુનીરે પોતાની નિયુક્તિના એક સપ્તાહની અંદર કહ્યું કે જાે તેમના દેશ પર ભારત હુમલો કરશે તો તેને કડક જવાબ અપાશે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની સશસ્ત્ર સેના માત્ર આપણી માતૃભૂમિની એક એક ઈંચની રક્ષા જ નહીં પરંતુ દુશ્મન પાસેથી પાછું મેળવવા માટ લડવા પણ તૈયાર છે. પાક સેના પ્રમુખે કહ્યું હતું કે કોઈ પણ ગેરસમજના પરિણામ સ્વરૂપ દુઃસાહસનો હંમેશા અમારા સશસ્ત્રદળો પૂરી તાકાતથી મુકાબલો કરશે. અત્રે જણાવવાનુંકે આ અગાઉ ૨૮ ઓક્ટોબરે રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ પીઓકે માટે નિવેદન આપ્યું હતું.


