નવીદિલ્હી
ભાજપના લોકસભા સાંસદ પરવેશ વર્માએ તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર દ્વારા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને લખેલા પત્રને ટાંકીને સીએમ કેજરીવાલ પર જેલ પ્રશાસનની સાથે મળીને તિહાર જેલને મસાજ પાર્લરમાં ફેરવવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ હવે બીજેપી નેતા તેજિંદર સિંહ બગ્ગાએ તિહાર જેલની આસપાસ વિવાદાસ્પદ પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં સીએમ અરવિંદ કેજરીવાલને મસાજ કરતા દેખાડવામાં આવ્યા છે, સાથે જ તેમના પર કેજરીવાલ મસાજ સેન્ટર લખેલું છે. આ પોસ્ટરો લગાવવાની જવાબદારી ખુદ બીજેપી નેતા તેજિંદર સિંહ બગ્ગાએ લીધી છે. આપ મંત્રી સતેન્દ્ર જૈનના તિહાર જેલમાં મસાજ કરાવવા અને વૈભવી જીવન જીવવા અંગેના ખુલાસા પર ભાજપે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે. હકીકતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન જેલની અંદર એશનું જીવન જીવી રહ્યા છે. ઈડીએ કહ્યું છે કે મંત્રી જૈનની પત્ની ઘણીવાર તેમને મળવા આવે છે અને તેમને ઘરનું રાંધેલું ભોજન પણ આપે છે. ઇડીએ એફિડેવિટ સાથે કેટલાક ફોટોગ્રાફ્સ પણ આપ્યા છે. આ તસવીરોમાં મંત્રી મસાજ કરાવતા જાેવા મળે છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં ઈડીએ કહ્યું છે કે તિહાર જેલમાં મંત્રી સત્યેન્દ્ર જૈનને માત્ર માથાની મસાજ જ નથી કરાવવામાં આવી રહી છે, પરંતુ તેમને સમયાંતરે ફુટ મસાજ અને બેક મસાજ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈન અંકુશ અને વૈભવ જૈન હાલમાં તિહાર જેલમાં બંધ છે. બીજી તરફ ભાજપના લોકસભા સાંસદ પરવેશ વર્માએ સીએમ કેજરીવાલ પર જેલ પ્રશાસનની મિલીભગતથી તિહાર જેલને મસાજ પાર્લરમાં ફેરવવાનો આરોપ લગાવતા કહ્યું છે કે દિલ્હીની જેલો કેજરીવાલ સરકાર હેઠળ આવે છે, એટલે કે દિલ્હીની જેલના માલિક છે કેજરીવાલ. વર્માએ કહ્યું કે આજ સુધી દિલ્હીની તિહાડ જેલના આદર્શો અને નિયમો વિશે ચર્ચા થતી હતી, પરંતુ કેજરીવાલ સરકારે આ બધું ધૂળમાં ભેળવીને જેલ પ્રશાસનની મિલીભગતથી તિહાર જેલને મસાજ પાર્લર બનાવી દીધું છે.
