નવીદિલ્હી
નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતા યંગ ઈન્ડિયા લિમિટેડનું કાર્યાલય સીલ કરી દીધુ છે. આ સિવાય કોંગ્રેસ મુખ્યાલય અને રાહુલ ગાંધીના આવાસ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઈડીના એક્શનને લઈને પહેલાથી આક્રોશિત કોંગ્રેસ નેતાઓએ કેન્દ્ર પર બદલાની રાજનીતિનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા મુખ્યાલય પહોંચ્યા અને બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર હુમલો કર્યો છે. મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ, દિગ્વિજય સિંહ, અભિષેક મનુ સિંઘવી અને પી ચિદમ્બરમ અને જયરામ રમેશ કોંગ્રસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે પોલીસના પહેરાથી સત્યનો અવાજ દબાશે નહીં. મોંઘવારી અને બેરોજગારી પર સવાલ પૂછવામાં આવશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ, દિલ્હી પોલીસે કોંગ્રેસ મુખ્યાલયની સાથે રાહુલ અને સોનિયા ગાંધીના ઘરને ઘેરી લીધા છે અને તેને છાવણીમાં ફેરવી દીધા છે. તેમણે કહ્યું, અમે ડરીશું નહીં. અજય માકને કહ્યુ, શનિવારે એઆઈસીસી તરફથી એક સર્કુલર જારી કરવામાં આવ્યું હતું કે ૫ ઓગસ્ટે મોંઘવારી અને બેરોજગારીને લઈને દેશવ્યાપી પ્રદર્શન કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ નેતા પ્રધાનમંત્રી આવાસથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરશે. આજે અમને ડીસીપી તરફથી લેટર આવ્યો કે તમે ૫ તારીખે કોઈ પ્રદર્શન કરી શકો નહીં. તેમણે કહ્યું, તમે ગમે એટલો દબાવ બનાવી લો કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી અને ખાદ્ય પદાર્થો પર જીએસટીને લઈને વિરોધ પ્રદર્શન કરતું રહેશે. અમે ડરીશું નહીં. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે આ પ્રકારની પોલીસની કાર્યવાહી કરી સરકાર જનતાને ગેરમાર્ગે દોરવા ઈચ્છે છે. તે નથી ઈચ્છતી કે ચેનલો પર મોંઘવારી અને બેરોજગારીની ચર્ચા થાય. તેમણે કહ્યું સરકાર શું નેતાઓને આતંકવાદી સમજે છે? કોંગ્રેસ સત્ય સામે લાવવા માટે કામ કરતી રહેશે. કોંગ્રેસ લોકતાંત્રિક મૂલ્યોને બચાવવા માટે લડાઈ લડતી રહેશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ, આ બદલાની રાજનીતિ છે. એક પ્રાચીન કહેવત છે, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. મોંઘવારી, બેરોજગારીને જાેતા આ વિનાશકાળ છે. બે સપ્તાહ સુધી મોદી સરકાર ચર્ચાથી ભાગતી રહી. હવે અમારા પ્રદર્શનને રોકવા માટે આજથી શરૂઆત કરી દેવામાં આવી છે.

