નવીદિલ્હી
વિધાનસભા સીટોની સીમાંકનની પ્રક્રિયા પૂરી થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુલ સાત સીટોનો વધારો થશે. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ રીઝનમાં ૬ અને કાશ્મીરમાં એક સીટ વધશે. તે પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં કુલ ૯૦ વિધાનસભા સીટો હશે જેમાંથી ૪૭ કાશ્મીર અને ૪૩ જમ્મુમાં હશે. આ સિવાય ૯ સીટ અનુસૂચિત જનજાતિ અને ૭ અનુસૂચિત જાતિ માટે અનામત હશે. જમ્મુ-કાશ્મીરમાં જૂન ૨૦૧૮થી કોઈ ચૂંટાયેલી સરકાર નથી. હવે કમિશન આ રિપોર્ટ સરકારને સોંપશે અને ત્યારબાદ ચૂંટણીની જાહેરાત થશે. પ્રધાનમંત્રી મોદીએ પણ કહ્યુ હતુ કે ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીરને રાજ્યની જેમ કામ કરવાની તક મળશે. આ પેનલની રચના સરકારે માર્ચ ૨૦૨૦માં બનાવી હતી. તેમના હેડ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ હતા. આ સિવાય ચીફ ઇલેક્શન કમિશનર સુશીલ ચંદ્રા અને ડેપ્યુટી ઇલેક્શન કમિશનર ચંદર ભૂષણ કુમાર આ પેનલમાં સામેલ હતા. ઓગસ્ટ ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જાે અપાયા અને લદ્દાખને અલગ ટેરટરી બનાવ્યા બાદ કમિશને અહીં ૮૩ સીટથી વધારી ૯૦ સીટ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નોંધનીય છે કે આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં ૧૯૯૫માં સીમાંકન થયું હતું. તે સમયે જમ્મુ-કાશ્મીરમાં ૧૨ જિલ્લા અને ૫૮ તાલુકા હતા. આ સમયે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૨૦ જિલ્લા છે અને તાલુકાની સંખ્યા વધીને ૨૭૦ થઈ ગઈ છે. સીમાંકનનો મુખ્ય આધાર જનસંખ્યા રહે છે. આ સિવાય ભૌગોલિક પરિસ્થિતિનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જમ્મુ-કાશ્મીર સીમાંકન કમિશન પંચે કેન્દ્ર શાસિત પ્રદેશનો ફાઇનલ રિપોર્ટ જાહેર કરી દીધો છે. નોંધનીય છે કે પંચની પાસે રાજ્યમાં લોકસભા અને વિધાનસભા સીટોની સીમાંકન નક્કી કરવાની જવાબદારી હતી જે આજે સમાપ્ત થઈ ગઈ છે. ઘાટીમાં વિધાનસભા ચૂંટણી માટે આ રિપોર્ટની રાહ જાેવાઈ રહી હતી. સીમાંકન કમિશનના રિપોર્ટ બાદ જમ્મુ-કાશ્મીરમાં જલદી ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.


