નવીદિલ્હી
દેશમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩ લાખથી વધુ કેસ નોંધાયા છે. અગાઉ આઠ મહિના પહેલાં આટલી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા. સંક્રમણનો દર વધી ૧૬.૪૧ ટકા થયો છે. રિકવરી રેટમાં પણ ઘટી ૯૩.૦૯ ટકા થયો છે. ગુરુવારે વધુ ૪૯૧ લોકોના મોત થયાં છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ૩૧૭૫૩૨ કેસો નોંધાયા છે. જેમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી ૯૨૮૭ થઈ છે. હાલ દેશમાં કોવિડના કુલ ૧૯૨૪૦૫૧ દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી બાજુ છેલ્લા ૨૪ કલાકમાં ૨,૨૩,૯૯૦ લોકો સાજા થયા છે. કુલ ૭૦૯૩૫૬૮૩૦ કોવિડ ટેસ્ટ માંથી ૧૯૩૫૧૮૦ સેમ્પલ ગઈકાલે લેવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્રમાં કોવિડની ત્રીજી લહેર પીક પર છે. એક દિવસમાં કોવિડના ૪૩,૬૯૭ નવા કેસો નોંધાયા છે. જ્યારે ૪૬૫૯૧ સાજા થયા છે. કોવિડથી ૪૯ લોકોના મોત નીપજ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં ૨૬૪૭૦૮ એક્ટિવ કેસ છે. મુંબઈમાં કોવિડનો રાફડો ફાટી નીકળ્યો છે. વધુ ૧૨ પોલીસ કર્મી કોરોના પોઝિટીવ આવ્યાં છે. અત્યારસુધીમાં કુલ ૧૦૬૭૮ પોલીસ કર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે ૧૨૭ના મોત થયાં છે. કોવિડના વધતા કેસોને ધ્યાનમાં રાખી વેક્સિનેશનની સ્પીડ વધારવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૧૫૯.૬૭ કરોડ લોકોએ કોવિડની વેક્સિન લીધી છે. જેમાંથી ૭૪ લાખ વેક્સિન છેલ્લા ૨૪ કલાકમાં લગાવવામાં આવી છે. બીજી બાજુ ૬૧ લાખ લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. મોટાભાગના લોકોએ વેક્સિન લીધી હોવાથી ઓમિક્રોનમાં મોતનું જાેખમ ઘટ્યું હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. ડેલ્ટા વેરિયન્ટની તુલનાએ ઓમિક્રોનમાં અત્યારસુધી મોતનો આંકડો ઘટ્યો છે. કોવિડના વધતા કેસોને લીધે આઈસીએમઆર-નેશનલ ઈસ્ટીટ્યુટના ડોક્ટરે બેડ અને ટ્રીટમેન્ટની યોગ્ય વ્યવસ્થા સાથે રાજ્યોને સજ્જ રહેવા સલાહ આપી છે.


