નવીદિલ્હી
ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ ચાર દિવસીય મેચ અને ત્રણ વન-ડે શ્રેણી માટે ગુજરાતના ઓપનર પ્રિયાંક પંચાલને ઈન્ડિયા એનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. બુધવારે ન્યૂઝીલેન્ડના ચાલુ મહિને પ્રવાસ માટેની ઈન્ડિયા એ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. પ્રિયાંક ઉપરાંત ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, કલુદીપ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્નાનો સમાવેશ કરાયો છે. આઈપીએલથી લાઈમલાઈટમાં આવેલા ભારતના ઝડપી બોલર ઉમરાન મલિકનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પસંદગીકારોએ ડોમેસ્ટિક મેચમાં પણ ઉલ્લેખનીય દેખાવ કરનાર ખેલાડીઓ તરફ પણ જાેયું છે અને બંગાળના સ્ટાર બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન, મધ્ય પ્રદેશને રણજી ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભવનાર રજત પાટીદાર અને મુંબઈના સરફરાઝ ખાન સહિતના ખેલાડીઓને તક આપવામાં આવી છે. ટીમમાં યુવા બેટ્સમેન તિલક વર્મા, મીડિયમ પેસર મુકેશ કુમાર અને યશ દયાલને પણ સામેલ કરાયા છે. ન્યૂઝીલેન્ડ એ અને ભારત એ વચ્ચે બેંગ્લોરના ચીન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ અને ત્રીજી ચાર દિવસીય મેચ રમાશે જ્યારે બીજી મેચ હુબલીના રાજનગર સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.
ઈન્ડિયા એ ટીમઃ પ્રિયાંક (કેપ્ટન), અભિમન્યુ, ઋતુરાજ, રજત, સરફરાઝ, તિલક, ભરત (વિકેટકીપર), ઉપેન્દ્ર, કુલદીપ, સૌરભ, રાહુલ, પ્રસિદ્ધ, ઉમરાન, મુકેશ, યશ, અર્ઝાન.


