નવીદિલ્હી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર અબ્દુલ્લાહિયન સાથે બુધવારે દિલ્હીમાં મુલાકાત કરી છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વર્ષો જૂના સંબંધો પર વાત થઈ. મહત્વનું છે કે ઈરાનના વિદેશ મંત્રી એવા સમયે ભારતના પ્રવાસે છે, જ્યારે ભાજપના પૂર્વ નેતાઓ દ્વારા પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીને લઈને પશ્ચિમ એશિયન દેશો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, ‘ભારત અને ઈરાન વચ્ચે વર્ષો જૂના સંબંધોના અને વિકાસ પર ઉપયોગી ચર્ચા માટે વિદેશ મંત્રી હુસૈન આમિર અબ્દુલ્લાહિયનનું સ્વાગત કરતા પ્રસન્નતા થઈ. આપણા સંબંધોએ બંને દેશોના પારસ્પરિક રૂપથી લાભ પહોંચાડ્યો છે અને પ્રાદેશિક સુરક્ષા અને સમૃદ્ધિને આગળ વધારી છે.’ આ પહેલાં વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનના પોતાના સમકક્ષ હુસૈન આમિર અબ્દુલ્લાહિયનની સાથે બુધવારે અફઘાનિસ્તાન, યુક્રેન તથા અન્ય પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી હતી. આ સાથે તેમણે કારોબાર, સ્વાસ્થ્ય, લોકો વચ્ચે સંપર્ક સહિત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બેઠક બાદ જયશંકરે ટ્વીટ કર્યુ, ‘ઈરાનના વિદેશ મંત્રીની સાથે વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા થઈ. અમે કારોબાર, સંપર્ક, સ્વાસ્થ્ય, લોકો વચ્ચે સંપર્ક સહિત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી.’ વિદેશ મંત્રીએ કહ્યું- અફઘાનિસ્તાન, યુક્રેન, સંયુક્ત વ્યાપક કાર્ય યોજના સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દા પર વિચારોનું આદાન પ્રદાન કર્યુ. બંને પક્ષો વચ્ચે સિવિલ તથા વાણિજ્યિક મામલામાં સંયુક્ત કાયદાકીય સહાયતા માટે એક સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભાજપના પૂર્વ બે નેતાઓ દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં અરબ દેશોની આકરી પ્રતિક્રિયા બાદ, ઇસ્લામિક સહયોગ સંગઠનના કોઈ સભ્ય દેશના વરિષ્ઠ મંત્રીની આ પ્રથમ ભારત યાત્રા છે. વિદેશ મંત્રાલય અનુસાર અબ્દુલ્લાહિયન નવી દિલ્હીમાં બેઠકો બાદ હૈદરાબાદ અને મુંબઈની યાત્રા કરશે.


