નવીદિલ્હી
કેન્દ્ર સરકારે દેશના પ્રમુખ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સુરક્ષા કવરને અપગ્રેડ કરી દીધુ છે. હવે તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે. ઝેડ પ્લસ સુરક્ષાની ટોપ શ્રેણી હોય છે. સરકાર તરફથી આ ર્નિણય મુકેશ અંબાણીના ખતરાને લઈને કેન્દ્રીય ગુપ્તચર તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા સમીક્ષા કરાયા બાદ લેવામાં આવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ અંબાણી (૬૫) ને પ્રથમવાર ૨૦૧૩માં ચુકવણીના આધાર પર સીઆરપીએફ કમાન્ડોનું ઝેડ સુરક્ષા કવર આપવામાં આવ્યું હતું. તેમના પત્ની નીતા અંબાણીને વાઈ પ્લસ શ્રેણીની સુરક્ષા મળી છે, જેમાં કમાન્ડોની સંખ્યા ઓછી હોય છે. હાલમાં બ્લૂમબર્ગ તરફથી જાહેર દુનિયાના ધનવાનોની યાદીમાં મુકેશ અંબાણી ૧૦માં સ્થાને છે. સૂત્રોએ જણાવ્યું કે અંબાણીની સુરક્ષાને સર્વોચ્ચ શ્રેણીની ઝેડ પ્લસમાં બદલી લેવામાં આવી છે અને આ સંબંધમાં જરૂરી સૂચના જલદી જાહેર કરવામાં આવશે. અંબાણીને ખતરાની ધારણાના સંબંધમાં કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ પાસેથી જાણકારી મળ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભલામણને ઔપચારિક રૂપ આપ્યું છે. સૂત્રોએ કહ્યું કે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના વર્તમાન સુરક્ષા કવરને વધારી ઝેડ પ્લસ કરવા અને તેમની સુરક્ષામાં વધુ કમાન્ડોને સામેલ કરવામાં આવી શકે છે. તેમની સુરક્ષામાં કુલ ૪૦-૫૦ કમાન્ડો સામેલ થઈ શકે છે, જે શિફ્ટમાં કામ કરે છે. સીઆરપીએફ વર્તમાનમાં અંબાણીના આવાસ અને ઓફિસ પરિસરને પણ સુરક્ષા પ્રદાન કરે છે. પાછલા વર્ષની શરૂઆતમાં તે સમયે અંબાણીની સુરક્ષા વધારી દેવામાં આવી હતી, જ્યારે મુંબઈમાં તેમના આવાસની પાસે વિસ્ફોટકોથી ભરેલી એક એવયૂવી કાર મળી આવી હતી. ત્યારબાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મામલાની તપાસ શરૂ કરી હતી.
