નવીદિલ્હી
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને સંરક્ષણની માંગ સાથે વહેલી સુનાવણીનો અનુરોધ કર્યો છે. જે બાદ ચીફ જસ્ટિસે આ મામલાની સુનાવણી ૯ માર્ચે કરવાની ખાતરી આપી. યુપીએ શાસન દરમિયાન શરૂ કરાયેલ સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ હેઠળ, જહાજાે માટે રસ્તો બનાવવા માટે રામ સેતુ તોડી પાડવાનો હતો. આ કાર્યવાહી સુબ્રમણ્યમ સ્વામીની કાયદાકીય લડત બાદ બંધ કરી દેવામાં આવી. સ્વામીએ ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની બેંચને કહ્યું કે છેલ્લા ઘણા મહિનાથી અરજીની સુનાવણી થઈ નથી અને તેને કોર્ટની કાર્ય સૂચિમાંથી હટાવી દેવામાં આવી નથી. સ્વામીએ ગયા વર્ષે ૮મી માર્ચે તાત્કાલિક સુનાવણી માટે તેમની અરજી રજૂ કરી હતી. અગાઉ ૨૩ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ હાઈકોર્ટે કહ્યું હતું કે તે ત્રણ મહિના પછી સ્વામીની અરજી પર વિચાર કરશે. રામ સેતુને એડમ્સ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તમિલનાડુના દક્ષિણપૂર્વ કિનારે પમ્બન ટાપુ અને શ્રીલંકાના ઉત્તરપશ્ચિમ કિનારે મન્નાર ટાપુ વચ્ચે ચૂના પત્થરોની એક સાંકળ છે. પંબન દ્વીપને રામેશ્વરમ દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાજપના નેતાએ પ્રથમ યુપીએ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવાદાસ્પદ સેતુસમુદ્રમ શિપ કેનાલ પ્રોજેક્ટ સામે તેમની જાહેર હિતની અરજીમાં રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, જ્યાં ૨૦૦૭માં રામ સેતુ પર પ્રોજેક્ટનું કામ અટકાવી દેવામાં આવ્યું. સ્વામીએ કહ્યું કે તેમણે ટ્રાયલના પ્રથમ તબક્કામાં જીત મેળવી છે જેમાં કેન્દ્ર દ્વારા રામ સેતુના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ૨૦૧૭માં કેન્દ્રીય મંત્રીએ તેમની માંગ પર વિચાર કરવા માટે એક બેઠક બોલાવી હતી પરંતુ તે પછી કંઈ થયું નહીં. સુપ્રીમ કોર્ટે ૧૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ કેન્દ્રને રામ સેતુ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે છ અઠવાડિયાનો સમય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જાે કેન્દ્ર જવાબ નહીં આપે તો સ્વામીને કોર્ટમાં જવાની સ્વતંત્રતા છે.


