નવીદિલ્હી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી છેલ્લા કેટલાક દિવસથી બેંકો પર પેનલ્ટી લગાવવામાં આવ્યા બાદ હવે વધુ એક બેંકે રકમના ઉપાડ પર લિમિટ નક્કી કરી છે. આરબીઆઈ તરફથી મુંબઈની રાયગઢ સહકારી બેંક પર અનેક પ્રકારની રોક લગાવવામાં આવી છે. બેંકની નાણાકીય સ્થિતિ ખરાબ હોવાના કારણે કેન્દ્રીય બેંકે આ પગલું ભર્યું છે. કેન્દ્રીય બેંક તરફથી રાયગઢ સહકારી બેંકના ગ્રાહકો માટે ૧૫,૦૦૦ રૂપિયાના ઉપાડની મર્યાદા લગાવવામાં આવી છે. આ કડકાઈ બાદ સહકારી બેંક રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી વગર લોન આપી શકશે નહીં. કોઈ રોકાણ કરી શકશે નહીં. કે નવા ડિપોઝિટ સ્વીકારી શકશે નહીં. રિઝર્વ બેંક તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે બેંકના ગ્રાહકો પોતાના બચત અને ચાલુ ખાતામાંથી ૧૫,૦૦૦ રૂપિયા સુધીનો જ ઉપાડ કરી શકશે. તેનાથી વધુ કાઢી શકશે નહીં. બેંક પર આ રોક છ મહિના સુધી લાગૂ રહેશે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે રાયગઢ સહકારી બેંકને અપાયેલા નિર્દેશોનો આશય તેના બેંકિંગ લાયસન્સને રદ કરવાનો નથી. આ અગાઉ આરબીઆઈએ નિયમોનું પાલન કરવામાં બેદરકારી વર્તવા બદલ બે મોટી બેંકો પર પેનલ્ટી લગાવી હતી. આરબીઆઈ તરફથી અપાયેલી જાણકારી મુજબ નિયમોના પાલનમાં બેદરકારી વર્તવા બદલ કોટક મહિન્દ્રા બેંક અને ઈન્ડસઈન્ડ બેંક પર એક -એક કરોડનો દંડ લગાવવામાં આવ્યો.

