નવીદિલ્હી
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની વિરુદ્ધમાં રવિવારે તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ૪૦ જગ્યાએ તપાસ હાથ ધરી હતી. એક અધિકારીએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, આતંકી કામગીરીને અંજામ આપવા માટે ધર્મના આધારે જુદા-જુદા સમૂહ વચ્ચે દુશ્મનીને ઉત્તેજના આપવા માટે કથિત રીતે ટ્રેનિંગ કેમ્પ આયોજિત કરવા સાથે જાેડાયેલા એક કેસમાં પીએફઆઈ વિરુદ્ધ દરોડા પાડ્યા છે. એએનઆઈના એક પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, તેલંગાણામાં ૩૮ જગ્યાએ અને આંધ્ર પ્રદેશમાં ૨ જગ્યાએ તપાસ દરમિયાન ૪ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. અભિયાન દરમિયાન ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજાે, બે તીક્ષ્ણ હથિયાર અને અંદાજે ૮.૩૧ લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ સહિત અન્ય આપત્તિજનક ચીજવસ્તુઓ જપ્ત કરી છે. શરૂઆતમાં ૪ જુલાઈએ તેલંગાણાના નિઝામાબાદમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને રાજ્ય પોલીસની તપાસ દરમિયાન આરોપીઓ અબ્દુલ કાદર, શેખ સહદુલ્લા, મોહમ્મદ ઇમરાન અને મોહમ્મદ અબ્દુલ મોબિનની ધરપકડ કરવામાં આવી હતી. પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, તપાસ એજન્સીએ કાર્યવાહી આગળ વધારવા માટે ૨૬ ઓગસ્ટે ફરીથી ફરિયાદ દાખલ કરી હતી. તેલંગાણામાં ૩૮ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં નિઝામાબાદની ૨૩થી વધુ જગ્યાઓ, જગત્યાલમાં સાત, હૈદરાબાદમાં ચાર, ર્નિમલમાં બે અને આદિલાબાદ તથા કરીમનગર જિલ્લામાં એક-એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યુ હતુ કે, કાદર અને ૨૬ અન્ય લોકો સાથે સંબંધિત કેસમાં આંધ્ર પ્રદેશના કુર્નૂલ અને નેલ્લોર જિલ્લામાં એક-એક જગ્યાની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ તેમણે કહ્યુ હતુ કે, આરોપીઓ આતંકી કામગીરી પાર પાડવા અને ધર્મને આધારે જુદા જુદા સમૂહ વચ્ચે દુશ્મની પેદા કરવા માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરરતા હતા. આ મામલે પણ તપાસ હજુ ચાલુ છે.


