નવીદિલ્હી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની કાર્યવાહી અંગે આજે ભડાશ કાઢી. તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદીથી ડરતા નથી અને તેમને ધમકાવીને ચૂપ કરી શકાશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ દેશ અને લોકતંત્રની રક્ષા તથા સદભાવ કાયમ રાખવા માટે કામ કરતા રહ્યા છે અને આગળ પણ કરશે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે ‘સત્યને બેરિકેડ કરી શકાશે નહીં. જે કરવું હોય તે કરી લો, હું પ્રધાનમંત્રીથી ડરતો નથી, હું હંમેશા દેશહિતમાં કામ કરતો રહીશ. સાંભળી લો અને સમજી લો.’ આ અગાઉ તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે આ ધમકાવવાનો પ્રયત્ન છે. તેઓ વિચારે છે કે થોડું દબાણ નાખીને અમે ચૂપ કરાવી દઈશું. પરંતુ અમે ચૂપ થવાના નથી. નરેન્દ્ર મોદીજી, અમિત શાહજી, આ દેશમાં લોકતંત્ર વિરુદ્ધ જે કરી રહ્યા છે તેની વિરુદ્ધ અમે ઊભા રહીશું. પછી ભલે ગમે તે કરી લે. અમને કોઈ ફરક પડતો નથી. ભાજપના એક આરોપના સંદર્ભમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ભાગવાની વાત કોણ કરે છે, ભાગવાની વાત તેઓ કરે છે. અમે ડરવાના નથી. અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી. જે કરવું હોય તે કરી લો. કઈ ફરક પડતો નથી. તેમણે ક હ્યું કે મારું કામ દેશની રક્ષા કરવાનું, લોકતંત્રની રક્ષા કરવાનું, દેશમાં સદભાવ જાળવી રાખવાનું કામ છે અને હું તે કરીશ. બીજી બાજુ ઈડીની કાર્યવાહી મુદ્દે સંસદ ભવનમાં કોંગ્રેસ સાંસદોની બેઠક થઈ જેમાં આગળની રણનીતિ પર ચર્ચા થઈ. આ બેઠક બાદ પાર્ટી સભ્યોએ બંને ગૃહોમાં કાર્યવાહી સંલગ્ન વિષયને ઉઠાવ્યો અને ભારે હંગામો કર્યો. ઉલ્લેખનીય છે કે ઈડીએ મની લોન્ડરિંગ મામલે કાર્યવાહી કરતા બુધવારે દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ કાર્યાલયમાં યંગ ઈન્ડિયન કંપનીના પરિસરને હંગામી રીતે સીલ કરી દીધુ હતું. કોંગ્રેસે દાવો કર્યો કે દિલ્હી પોલીસે તેમના હેડક્વાર્ટર, પાર્ટી અધ્યક્ષ સોનિય ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવાસોને ઘેરી લીધા. પાર્ટીએ સરકાર પર ઈડીના ઉરઉપયોગનો આરોપ પણ લગાવ્યો. આ અગાઉ ઈડીએ નેશનલ હેરાલ્ડ સંલગ્ન મની લોન્ડરિંગ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી.

