નવીદિલ્હી
દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ચ ૨૦૨૧માં તેની શરૂઆત કરી હતી. ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ આઝાદીના ૭૫ વર્ષ પૂરા થશે. અહીંયા અમે તમને ફેમસ અને યાદગાર સ્મારક, મંદિર તથા મ્યુઝીયમ વિશે જાણકારી આપી રહ્યા છીએ. જે હિન્દુસ્તાનનો વારસો છે. આજે નવી દિલ્હીમાં રાજપથ માર્ગ પર આવેલ ઈન્ડિયા ગેટ થી વાત કરીશું. જેને શરૂઆતમાં ઓલ ઈન્ડિયા વોર મેમોરિયલ તરીકે ઓળખવામાં આવતું હતું. બ્રિટીશ સરકારે પ્રથમ વિશ્વ યુદ્ધ ૧૯૧૪-૧૯૧૮ અને ૧૯૧૯માં ત્રીજા એંગ્લો અફઘાન યુદ્ધમાં શહીદ થયેલ ૮૦,૦૦૦થી વધુ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલી આપવા માટે ઈન્ડિયા ગેટનું નિર્માણ કર્યું હતું. ૧૦ ફેબ્રુઆરી ૧૯૨૧ના રોજ ડ્યુક ઓફ કનોટે તેની શરૂઆત કરી હતી. ૧૦ વર્ષમાં તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. ૧૨ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ વાઈસરોય, લોર્ડ ઈરવિને ૪૨ મીટર ઊંચા આ સ્માર્કનું ઉદઘાટન કર્યું હતું. એડવિન લેંડસિયર લૂટ્યન્સે આ ગેટની ડિઝાઈન કરી હતી. ઈન્ડિયા ગેટની દીવાલ પર આજે પણ સૈનિકોના નામ લખવામાં આવ્યા છે. આઝાદી પહેલા તેની સામે ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમની પ્રતિમા પણ મુકવામાં આવી હતી, જે બાદમાં હટાવી દેવામાં આવી હતી. જે જગ્યાએ ઈન્ડિયા ગેટ છે, તે જગ્યાએ પહેલા રેલ્વે ટ્રેક હતો. આ વાત વર્ષ ૧૯૨૦ સુધીની છે. તે સમયે શહેરમાં માત્ર એક રેલ્વે સ્ટેશન હતું- જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન. જે જગ્યાએ ઈન્ડિયા ગેટ બનાવવામાં આવ્યો છે, ત્યાં આગ્રા-દિલ્હી રેલ્વે લાઈન પસાર થતી હતી. ત્યાર બાદ યમુના નદી પાસે રેલ્વે લાઈન બનાવવામાં આવી. વર્ષ ૧૯૨૪માં રેલ્વે લાઈન દૂર કરવાની શરૂઆત કરવામાં આવી, ત્યારબાદ ઈન્ડિયા ગેટનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલ સૈનિકોની યાદમાં વર્ષ ૧૯૭૨માં ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિનું નિર્માણ કરવામાં આવ્યું. વર્ષ ૧૯૭૧માં થયેલ ભારત અને પાકિસ્તાનના યુદ્ધને ૫૦ વર્ષ પૂર્ણ થતા ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ગણતંત્ર દિવસ પહેલા અમર જવાન જ્યોતિને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શિફ્ટ કરવામાં આવી હતી. અમર જવાન જ્યોતિના સ્મારક પર ઊંધી બંદૂક અને સૈનિકોનું હેલ્મેટ બનાવવામાં આવ્યું છે. જેની બાજુમાં જ્યોત રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૯માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદઘાટન કર્યું હતું.
