નવીદિલ્હી
એશિયા ખંડના બે કટ્ટર પ્રતિસ્પર્ધી દેશ ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં ૨૮ ઓગસ્ટે હાઈ-વોલ્ટેજ જંગમાં આમને-સામને થશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે એશિયા કપના કાર્યક્રમની જાહેરાત કરતા આ માહિતી આપી હતી. ઓસ્ટ્રેલિયામાં વર્ષના અંતે યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ પૂર્વે એશિયા કપ મહત્વની ટી૨૦ ટૂર્નામેન્ટ યોજાશે. ભારત અને પાકિસ્તાનના વણસેલા સંબંધોને પગલે દ્વિપક્ષીય સિરીઝ સંભવ નથી તેવી સ્થિતિમાં આ બન્ને હરીફ દેશો એશિયા કપ ટી૨૦માં ૨૮ ઓગસ્ટે ટકરાશે જેનો રોમાંચ ચરમસીમાએ રહેશે તે નક્કી છે. એશિયા કપ માટેની ભારતીય ટીમની પસંદગી આગામી ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કરાશે જેમાં પ્રમુખ ખેલાડીઓનો સમાવેશ થશે. ભારતી ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ જે એશિયા ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે તેમણે મંગળવારે એશિયા કપના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી હતી. ચાલુ વર્ષે એશિયા કપ શ્રીલંકામાં વણસેલી રાજકીય તથા આર્થિક સ્થિતિને પગલે દુબઈમાં ખસેડવામાં આવ્યો છે. શાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આતુરતાનો અંત આવ્યો છે. એશિયા કપની ૧૫મી આવૃત્તિનો ૨૭ ઓગસ્ટથી પ્રારંભ થશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ ૧૧ સપ્ટેમ્બરે યોજાશે. ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતાં એશિયા કપ આ ફોરમેટમાં યોજાશે. આગામી વર્ષે ફરીથી એશિયા કપ વન-ડે ફોરમેટમાં યોજવામાં આવશે. એશિયા કપ માટેના ગ્રુપ એમાં ભારત અને પાકિસ્તાન બે પ્રતિસ્પર્ધીઓનો સમાવેશ કરાયો છે અને ત્રીજી ટીમ હજુ ક્વોલિફાય થવાની બાકી છે. જ્યારે ગ્રુપ બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. આ વર્ષે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે વખત ટક્કર થવાની સંભાવના છે. ગ્રુપ મેચ ઉપરાંત ૪ સપ્ટેમ્બરના સુપર ફોર રાઉન્ડમાં પણ ભારત અને પાકિસ્તાન આમને-સામને થઈ શકે છે. જાે બન્ને ટીમો ફાઈનલમાં પહોંચશે તો ત્રીજી વખત રોમાંચક મુકાબલો જાેવા મળી શકે છે. એશિયા કપમાં કુલ ૧૩ મેચો રમાશે જે પૈકી ફાઈનલ સહિતની ૧૦ મેચ દુબઈમાં જ્યારે ત્રણ મેચ શારજાહમાં રમાશે. તમામ મેચો સાંજે છ કલાકે શરૂ થશે.
