નવીદિલ્હી
મોહાલી કોર્ટે પંજાબ પોલીસની સાઈબર ક્રાઈમ બ્રાન્ચને તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ કરીને કોર્ટ સામે હાજર કરવા જણાવ્યું હતું. ત્યારે એવું લાગતું હતું બગ્ગા માટે મુશ્કેલી વધી છે. પણ પંજાબ હરિયાણા કોર્ટે હાલ પૂરતી રાહત આપી છે. ાઈકોર્ટના જજ અનુપ ચિતકારાએ બગ્ગાની અરજી પર સુનાવણી કરી અને તેમના વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો. આ બાજુ બગ્ગાના વકીલ ચેતન મિત્તલે હાઈકોર્ટના આદેશ અંગે જણાવતા કહ્યું કે ૧૦ મે સુધી કોઈ દંડાત્મક કાર્યવાહી કરી શકાશે નહીં. હાઈકોર્ટ ગત મહિને તેમના વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની અપીલ પર ૧૦મી મેના રોજ વિચાર કરશે. હાલ તો કોર્ટે ધરપકડ વોરન્ટ પર રોક લગાવી છે. પંજાબ પોલીસે ભડકાઉ નિવેદન આપવા બદલ તથા દુશ્મનીને પ્રોત્સાહન આપતી અને અપરાધિક ધમકી આપવાના આરોપો સર તજિન્દર પાલ સિંહ બગ્ગા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મોહાલીના આમ આદમી પાર્ટીના નેતા સની આહલુવાલિયાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરાઈ હતી. ત્યારબાદ ૧ એપ્રિલના રોજ એફઆઈઆર દાખલ થઈ જેમાં ૩૦ માર્ચની બગ્ગાએ કરેલી ટિપ્પણીનો ઉલ્લેખ છે જે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની બહાર ભાજપ યુવા મોરચાના વિરોધ પ્રદર્શન દરમિયાન કરેલી હતી. ભાજપના નેતા તજિન્દર સિંહ બગ્ગાને હાલ તો પંજાબ-હરિયાણા હાઈકોર્ટે રાહત આપતા આગામી સુનાવણી સુધી ધરપકડ પર રોક લગાવી છે. અત્રે જણાવવાનું કે મોહાલી કોર્ટે બગ્ગા વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરતા આ વોરન્ટ વિરુદ્ધ બગ્ગા મોડી સાંજે હાઈકોર્ટ ગયા હતા. કોર્ટે જસ્ટિસ અનુપ ચિતકારાના ઘરે તત્કાળ સુનાવણીની મંજૂરી આપી હતી.


