આગ્રા
તાજમહેલના બેસમેન્ટમાં આવેલા ૨૨ લોક રૂમના વિવાદ બાદ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) એ આ રૂમની અંદર કરવામાં આવેલા સમારકામના ફોટાઓ પ્રકાશિત કરીને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આગ્રા એએસઆઈ ચીફ આર કે પટેલના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી ૨૦૨૨ના ન્યૂઝલેટરના ભાગ રૂપે આ ફોટાઓ એએસઆઈ વેબસાઇટ પર પ્રકાશિત કર્યા છે, જેથી કોઈપણ તેમની વેબસાઇટ પર જઈને જાેઈ શકે છે. પર્યટન ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર દેશમાં આ રૂમની સામગ્રી અંગેની ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે ફોટાઓ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે આ ઓરડાઓ ફરીથી ખોલવા માટેની ડો. રજનીશ કુમારની અરજીને ફગાવી દીધાના થોડા દિવસો પછી લેવામાં આવેલા ફોટો દ્વારા પ્લાસ્ટરિંગ અને ચૂનાના તવાઓ સહિત આ તાળાબંધ ચેમ્બરમાં પુનઃસંગ્રહનું નોંધપાત્ર કામ થઈ રહ્યું હોવાનું દર્શાવ્યું છે. એએસઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રૂમોના રિસ્ટોરેશનના કામમાં રૂ. છ લાખનો ખર્ચ થયો છે. સખત ગરમી હોવા છતાં, લગભગ ૨૦,૦૦૦ પ્રવાસીઓએ તાજમહેલની મુલાકાત લીધી હતી. ૧૩,૮૧૪ પ્રવાસીઓએ તેમની ટિકિટ ઓનલાઈન ખરીદી હતી, જ્યારે ૭૧૫૪ લોકોએ રૂબરૂ જઈને ટિકિટ ખરીદી હતી.


