નવીદિલ્હી
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલાં રાયસીના ડાયલોગમાં દુનિયા સમક્ષ ભારતે પોતાનું વલણ, પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરીને સીધી વાત કરી છે. રાયસીના ડાયલોગમાં આ અંગે વાત કરતા દેશના વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતુંકે, વિશ્વને ખુશ રાખવાને બદલે આપણે એ આધારે દુનિયા સાથે સંબંધ બનાવવો જાેઈએ કે આપણે કોણ છીએ? દુનિયા અમારા વિશે જણાવે અને આપણે વિશ્વની મંજૂરી લઈએ એ સમય વીતી ગયો છે. વિદેશ મંત્રી જયશંકરે વધુમાં જણાવ્યુંકે, ભારત હવે કોઈનો આશ્ચિત નથી રહ્યો. સમય બદલાઈ ગયો છે અહીં વિકાસ અને વિસ્તારની ખુબ જ સંભાવનાઓ રહેલી છે. ભારત પાસે એક મજબૂત નેતૃત્વ છે અને ભારત યુવા પ્રતિભાઓથી ભરેલો દેશ છે. તેથી સમયની સાથે પરિવર્તન આવશ્યક છે. ભારત હવે કોઈનો આદેશ નહીં સાંભળે, ભારત હવે કોઈની શરતોને આધીન રહીને કામ નહીં કરે. એટલું નહીં તેમણે જણાવ્યુંકે, આગામી ૨૫ વર્ષમાં ભારત વૈશ્વિકીકરણનું કેન્દ્ર હશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તેના કાર્યક્રમમાં બોલતા જયશંકરે કહ્યું હતું કે એક બાબત ભારત વિશ્વને જણાવવામાં સફળ રહ્યો છે તે એ છે કે ભારત લોકશાહી દેશ છે અને લોકશાહી જ ભવિષ્ય છે. ઉલ્લેખનીય છેકે, યુરોપિયન દેશોના વિદેશમંત્રીઓ પણ આ કાર્યક્રમમાં સામેલ હતા. ત્યારે દુનિયા સામે આંખથી આંખ મિલાવીને ભારત પોતાના સ્વાભિમાન અને ગૌરવ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના પોતાની ટર્મ પર વ્યવહાર રાખશે એવું સ્પષ્ટ પણે વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું.આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. દેશ આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ભારત વિશ્વ સમક્ષ એક સશક્ત સત્તા તરીકે ઉભરી રહ્યો છે. હવે ભારત કોઈની સામે જુકશે નહીં અને કોઈની શરતોને આધીન થઈને નહીં ચાલે. હવે ભારત પોતાની શરતો મુજબ દુનિયા સાથે વ્યવહાર રાખશે. આ નેમ વર્તમાન સરકાર તરફથી લેવામાં આવી છે.
