નવીદિલ્હી
તેલંગણામાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે. હાલના સમયમાં પાર્ટીના નેતાઓની ભાગદોડ અને રાજકીય સફળતાથી પાર્ટી નેતાઓ ઘણા ઉત્સાહિત પણ છે. આથી ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાના અધ્યક્ષીય કાર્યાકળમાં પહેલીવાર રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક દિલ્હીથી બહાર કરવાનું નક્કી થયું તો તે માટે તેલંગણાની રાજધાની હૈદરાબાદની પસંદગી થઈ. કાર્યકારિણી બેઠકના આજના દિવસથી જ ભાજપે મુખ્યમંત્રી કેસીઆરના કાર્યકાળનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધુ છે. પાર્ટીએ જાહેરાત કરી છે કે આજથી ૫૨૨ દિવસ સુધી કેસીઆર રાજ્યના મુખ્યમંત્રી છે. ત્યારબાદ સત્તા પરિવર્તન થશે અને ભાજપ પોતાના દમ પર રાજ્યમાં બહુમતની સરકાર બનાવશે. આ માટે ભાજપે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કાર્યકારિણી બેઠકનું સમાપન થયા બાદ ૩ જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે ૪ વાગે પ્રસિદ્ધ પરેડ ગ્રાઉન્ડમાં મોટી રેલી પણ કરશે. આ રેલીમાં પાર્ટી શાસિત રાજ્યોના તમામ સીએમ પણ હાજર રહેશે. રેલીને સફળ બનાવવા માટે ૩૩૦૦૦ બૂથ સંયોજકને તે માટે જવાબદારી સોંપાઈ છે. એટલું જ નહીં પીએમ રેલી ઉપરાંત તેલંગણા ફતેહ કરવા માટે ભાજપે હૈદરાબાદ પર અલગથી ફોકસ કરેલું છે. કાર્યકારિણીના સભ્યો અને અનેક કેન્દ્રીય મંત્રીઓને પાર્ટીએ અલગ અલગ સમાજ સાથે સીધા સંવાદ કરવાની જવાબદારી પણ સોંપી છે. વર્ષ ૨૦૨૪માં થવા જઈ રહેલી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ ભાજપ હવે દક્ષિણ ભારતીય રાજ્યોમાં પોતાનો વિસ્તાર કરવાની કોશિશ કરી રહ્યું છે. કર્ણાટક બાદ હવે તેની નજર તેલંગણા પર છે. જેને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક હૈદરાબાદમાં રાખી છે. આ બેઠકના બહાને તે તેલંગણા રાષ્ટ્ર સમિતિ (્ઇજી) ના ચંદ્રશેખર રાવ અને છૈંસ્ૈંસ્ ના અસદુદ્દીન ઓવૈસીને ઘેરવાની પણ કોશિશ કરશે. બાય બાય કેસીઆર આ ધ્યેય વાક્યની સાથે ૧૮ વર્ષ બાદ હૈદરાબાદમાં થઈ રહેલી ભાજપની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી અને યુપીના ફાયરબ્રાન્ડ સીએમ યોગી આદિત્યનાથ પણ ભાગ લેશે. પાર્ટી આ બેઠક દ્વારા એવો પણ સંદેશ આપશે કે અલગ તેલંગણા રાજ્ય બનાવવામાં ભાજપનું યોગદાન કોઈ ભૂલી શકે નહીં. આ માટે અલગ તેલંગણા રાજ્ય આંદોલન દરમિયાન ભાજપ પોતાના સમર્થન અને સંસદમાં સુષમા સ્વરાજના ઐતિહાસિક ભાષણનો પણ ઉલ્લેખ કરશે.


