નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય ખેલાડીઓને કહ્યું કે તમારે લોકોએ શું કરવાનું છે, કેવી રીતે રમવાનું છે, તેના તો તમે એક્સપર્ટ છો. હું બસ એટલું કહીશ કે મન ભરીને રમજાે, ખુબ રમજાે, પૂરી તાકાતથી રમજાે અને કોઈ પણ ટેન્શન લીધા વગર રમશો. તમારે ‘કોઈ નહીં હૈ ટક્કરમે, કહાં પડે હો ચક્કર મે’ એ તેવર સાથે રમવાનું છે. પીએમ મોદીએ આ વર્ચ્યુઅલ સંવાદ દરમિયાન પહેલીવાર આ ખેલોનો ભાગ બની રહેલા ખેલાડીઓને પણ સંબોધન કર્યું. તેમણે કહ્યું કે જે પહેલીવાર મોટા આંતરરાષ્ટ્રીય મેદાન પર ઉતરી રહ્યા છે તેમને હું કહીશ કે મેદાન બદલાયું છે, તમારો મિજાજ નહીં, તમારી જીદ નહીં. લક્ષ્ય એ જ છે કે તિરંગાને લહેરાતો જાેવાનો છે. રાષ્ટ્રગીતની ધૂન વાગતી સાંભળવાની છે. આથી દબાણ લેવાનું નથી, સારું અને દમદાર રમીને પ્રભાવ છોડવાનો છે. આજનો આ સમય ભારતીય ખેલોના ઈતિહાસનો એક પ્રકારે સૌથી મહત્વપૂર્ણ કાળખંડ છે. તેમણે કહ્યું કે આજે તમારા જેવા ખેલાડીઓનો જુસ્સો પણ બુલંદ છે. ટ્રેનિંગ પણ સારી થઈ રહી છે અને ખેલ પ્રત્યે દેશમાં પણ જબરદસ્ત માહોલ છે. તમે બધા નવા શિખર પર ચડી રહ્યો છો, નવા શિખર રચી રહ્યા છો, જે ૬૫થી વધુ એથલીટ પહેલીવાર આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે, મને વિશ્વાસ છે કે તેઓ પણ પોતાની જબરદસ્ત છાપ છોડશે. બર્મિંઘમમાં ૨૮ જુલાઈથી શરૂ થનારા કોમનવેલ્થ ગેમ્સમાં ૭૨ દેશોના ૫ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે જેમાં ભારતીય ટીમના પણ ૨૧૫ ખેલાડીઓ ભાગ લેશે. કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે ભારતીય ખેલાડીઓ રવાના થાય તે પહેલા પીએમ મોદીએ આજે તમામ ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો અને તેમનો જુસ્સો વધાર્યો. પીએમ મોદીએ ખેલાડીઓને પદક જીતવાનું ટેન્શન ન લેવાની વાત કરતા કહ્યું કે તેઓ આ ખેલોનો આનંદ લેતા પોતાનું સંપૂર્ણ સમર્પણ કરે અને કોમનવેલ્થ ગેમ્સમાં તિરંગો લહેરાતો જાેવાને જ પોતાનું લક્ષ્ય રાખે.

