Delhi

હવે કસ્ટમ વિભાગ રાખશે મુસાફરો પર નજર

નવીદિલ્હી
એરલાઇન્સે હવે વિમાન દ્વારા વિદેશ પ્રવાસ કરતા મુસાફરો વિશેની માહિતી કસ્ટમ વિભાગ સાથે શેર કરવી પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માહિતી ૫ વર્ષ સુધી સાચવવી પડશે અને જરૂર પડશે તો કસ્ટમ વિભાગ આ માહિતીનું રિસ્ક એનાલિસિસ કરશે. જરૂર પડે તો આ માહિતી તપાસ એજન્સીઓ, સરકારી વિભાગો અને અન્ય દેશોની સરકારો સાથે પણ શેર કરી શકાય છે. દેશમાં સોનાની આયાત પર ૧૫ ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવામાં આવેલી છે અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વધારે ઈમ્પોર્ટ ડ્યૂટીના કારણે દેશમાં સોનાની દાણચોરી વધી શકે છે. સોના ઉપરાંત અન્ય ઘણા પ્રકારના સામાન પર પણ મોટી આયાત ડ્યૂટી લાગેલી છે અને તેની દાણચોરી વધવાનું જાેખમ રહે છે. કસ્ટમ વિભાગ દેશમાં માલની ગેરકાયદે આયાતને પહોંચી વળવા માટે રણનીતિ તૈયાર કરી રહ્યું છે અને આ અંતર્ગત એરલાઇન કંપનીઓ પાસેથી વિદેશ પ્રવાસ કરનારા મુસાફરોની માહિતી એકત્ર કરવામાં આવશે. ગુનેગારોને વિદેશ ભાગી જતા અટકાવવા સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે એરલાઇન્સને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ શરૂ થવાના ૨૪ કલાક પહેલા તમામ મુસાફરોની પીએનઆર વિગતો કસ્ટમ અધિકારીઓ સાથે શેર કરવા નિર્દેશ આપ્યો છે. એરલાઇન્સે મુસાફરોના નામ, સંપર્કની વિગતો અને ચુકવણીની વિગતો શેર કરવાની રહેશે. કસ્ટમ વિભાગ દ્વારા આ માહિતીનો ઉપયોગ દેશમાં આવતા અને દેશની બહાર જતા મુસાફરો પર નજર રાખવા માટે કરવામાં આવશે. આનાથી વિદેશ ભાગી રહેલા ગુનેગારો પર અંકુશ આવશે. સીબીઆઇસીએ નેશનલ કસ્ટમ્સ ટાર્ગેટિંગ સેન્ટર-પેસેન્જરની સ્થાપના કરી છે, જે એરલાઇન્સ પાસેથી મળેલી માહિતીના માધ્યમથી કસ્ટમ એક્ટ હેઠળના ગુનાઓ અટકાવવાનું કામ કરશે. આ જાેગવાઈ બાદ ભારત અન્ય ૬૦ દેશોની ક્લબમાં સામેલ થયું હતું, જે આંતરરાષ્ટ્રીય મુસાફરોની પીએનઆર વિગતો એકઠી કરે છે. આ પહેલા ભારતમાં એરલાઈન ઈમિગ્રેશન ઓથોરિટીઝને મુસાફરોના નામ, રાષ્ટ્રીયતા અને પાસપોર્ટની વિગતો જ શેર કરવી પડતી હતી. સરકારે ૨૦૧૭ના બજેટમાં પીએનઆરની વિગતો શેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ સોમવારે જાહેરનામું બહાર પાડ્યા બાદ હવે તેની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી.

Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *