અંજાર
અંજાર પોલીસ મથકેથી અંજાર સ્થિત પેટા તિજાેરી કચેરીના અધિકારી દર્શનાબેન વિશાલકુમાર વૈધની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ અંજારની પેટા ટ્રેઝરી કચેરીમાં જુદી જુદી સરકારી કચેરીના વેલ્યુએબલ આર્ટિકલ બોક્સ, નાણા પેટી, ચૂંટણી પેટી વગેરે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. જેથી રાબેતા મુજબ તા. ૪/૮ના પણ અંજાર આરટીઓ કચેરીની કેસ પેટી સહિત વિવિધ પેટીઓ સ્ટ્રોંગ રૂમમાં સલામત રાખી હતી અને બહાર ગાર્ડ તરીકે પ્રવીણભાઈ સારંગભાઈ હાજર હતા. બીજા દિવસે તા. ૫/૮ સવારે ૧૧ વાગ્યે આરટીઓ કચેરીના કર્મચારીઓ પોતાની નાણાં ભરેલી પેટી લેવા આવ્યા ત્યારે ફરિયાદી તેમના સાથે પેટી લેવા ગયા તે દરમ્યાન સ્ટ્રોંગ રૂમની સીલની દોરી કપાયેલી હતી અને દરવાજાથી ભાર મારવામાં આવેલા તાળા પણ જાેવા મળ્યા ન હતા. આરટીઓ કચેરીની કેસ બોક્સના નકુચા પણ તૂટેલા હતા અને તેમાં રાખેલા રોકડા રૂ. ૨૩,૫૬,૯૨૫ પણ ન હતા. જે બાદ વધુ તપાસ કરતા મામલતદાર કચેરી દ્વારા જમા કરાવવામાં આવેલા આર્ટિકલ બોક્સનો પણ નકુચો તૂટેલો હતો. જેમાંથી રૂ. ૫૫ હજારની કિંમતના ૧૦૦૦ ગ્રામ વજનના ૧૩૬ નંગ ચાંદીના જુદા જુદા દાગીના પણ ચોરી ગયા હતા. જે બાદ પોલીસને બોલાવી તપાસ કરવામાં આવતા તિજાેરી ગાર્ડનો પ્રવેશરૂમનો દરવાજાે બહારથી બંધ હતો અને તે સમયે ગાર્ડ પણ હાજર મળ્યો ન હતો. જાે કે કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા આરટીઓ કચેરીના રોકડા રૂ. ૨૩,૫૬,૯૨૫, મામલતદાર કચેરી દ્વારા રાખવામાં આવેલા રૂ. ૫૫,૦૦૦ની કિમતના ચાંદીના મળી કુલ રૂ. ૨૪,૧૧,૯૨૫ની ચોરી થઇ હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.સામાન્ય રીતે ઘર, દુકાન, ઓફીસમાં ચોરી થતી રહે છે પરંતુ હવે જ્યાં ૨૪ કલાક ગાર્ડની હાજરી હોય છે તેવી અંજારની તિજાેરી કચેરીમાં ચોરી થવાનો બનાવ સામે આવતા ચકચાર પ્રસરી છે. જ્યાંથી ગાર્ડ અવર-જવર કરે છે તે સ્થળેથી અંદર પ્રવેશી વજન વાળા તાળા ખોલી અનેક પેટીઓ પૈકીની જેમાં નાણા અને દાગીના જ હતા તેવી માત્ર ૨ પેટીઓના નકુચા તોડી રોકડ અને દાગીના મળી કુલ રૂ. ૨૪.૧૧ લાખની ચોરીને અંજામ આપવાનો બનાવ સામે આવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

