Gujarat

આંતરમનથી કંઈક કરી છૂટવાની ચાહ, બહેનોના આત્મસન્માનથી જીવવાની રાહ એટલે

જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ

*ગીર સોમનાથનો સખીમેળો*

————————–
*૧૨ બહેનો સાથે મળી કમાણી કરી આત્મનિર્ભર બન્યાં છે મોરબીના દેવ મિશન મંગલમ જૂથના ક્રિષ્નાબહેન*
———————
*ગીર સોમનાથ, તા.૨૨:* રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે માટે વંદે ગુજરાત અંતર્ગત સખીમેળાઓ યોજવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત સોમનાથ ચોપાટી ખાતે સખીમેળો કાર્યરત છે. જેમાં મોરબી, દ્વારકા, જામખંભાળિયા, જામનગર એમ રાજ્યભરના શહેરોના નાના-મોટા ગામડાઓમાંથી અનેક બહેનોના જૂથે ભાગ લીધો છે. ઘૂઘવતા દરિયાના કિનારે યોજાયેલા આ સખીમેળામાં ફરતાં-ફરતાં નજર કરીએ તો જોવા મળે છે એવી બહેનો. જેમને આત્મસન્માનથી જીવવાની ખેવના છે. જેમના હૃદયમાં કંઈક કરી છૂટવાની તમન્ના છે. કોઈની આંખોમાં સપનાં છે પોતાની દીકરીને ભણી-ગણી મેડિકલમાં મોકલવાના તો કોઈની આંખોમાં સપનાં છે પોતાનું ઘરનું ઘર બનાવવાનાં. સખીમેળામાં ભાતભાતની વસ્તુઓ વેંચતા બહેનોનું કહેવું છે કે, સરકાર દ્વારા યોજાયેલો ગીર સોમનાથનો સખીમેળો અમારા માટે આશીર્વાદ સમાન છે.
સખીમેળામાં સરકાર દ્વારા આ બહેનોને તદ્દન નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યાં છે. ગીર સોમનાથના સખીમેળામાં બે દિવસમાં આશરે ૩૦૦૦ કરતાં વધારે મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જ્યારે મુલાકાતીઓએ એક લાખ વીસ હજાર કરતા વધારે કિંમતની વસ્તુઓની ખરીદી પણ કરી હતી.
સખીમેળાએ જેને આત્મસન્માનથી જીવવાની રાહ બતાવી છે એવા મોરબીના દેવ મિશન મંગલમ્ જૂથના ક્રિષ્નાબહેન પંડ્યાના જૂથમાં ૧૨ બહેનો સાથે મળી કામ કરી રહી છે અને આત્મસન્માનથી જીવી રહી છે. પહેલા તેમની મોરબીમાં દુકાન હતી અને ત્યારબાદ તેમને સરકાર દ્વારા યોજાતા સખીમેળા વિશે માહિતી મળી હતી. જે પછી તેમણે મોરબીમાં પહેલીવાર ભાગ લીધો હતો. પહેલા મેળાના સારા અનુભવ પછી તેમણે રાજકોટ અને સાળંગપુર મેળામાં ભાગ લીધો અને મહેનતનું સારૂ એવું વળતર પણ મળ્યું હતું. રાજકોટ મેળામાં તેમને ‘બેસ્ટ વેંચાણ’નું પ્રમાણપત્ર મળતાં તેમના જૂથની બહેનોનો આત્મવવિશ્વાસ બેવડાયો હતો.
ક્રિષ્નાબહેને કહ્યું હતું કે, અમારા જૂથની બહેનો વિવિધ કપડાઓ પર ભરતકામ, સિલાઈકામ કરે છે અને વિવિધ વસ્ત્રો જેવા કે, હેરમ, નાઈટી, ગાઉન વગેરેનું વેચાણ કરીએ છીએ. સખીમેળામાં ભાગ લેવાથી થતાં ફાયદા વિશે જણાવતા કિષ્નાબહેન ઉમેરે છે કે, સખીમેળામાં ભાગ લેવાથી આત્મવિશ્વાસ વધે છે તેમજ રોજ અલગ અલગ વ્યક્તિઓ સાથે મુલાકાત થવાના કારણે બોલચાલની કળા પણ સારી રીતે વિકસે છે. જો સખીમેળા ન હોત તો અમારા જૂથની બહેનો હજુ બહાર ન નીકળી હોત. સખીમેળાના કારણે અમારા જૂથની બહેનો આત્મનિર્ભર બની આત્મસન્માનથી જીવી રહી છે. આવા મેળાઓ યોજવા બદલ અમારી બહેનો ગુજરાત સરકારનો દિલથી આભાર માને છે.

IMG-20220722-WA0079.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *