આણંદ
આણંદ સ્થિત મધુબન રીસોર્ટ સામે આવેલા ઇવીએમ વેરહાઉસ ખાતે કલેકટર મનોજ દક્ષિણી, નાયબ વન સંરક્ષક એન.ડી.ઇટાલીયન, નાયબ કલેકટર વિમલ બારોટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી લલીતભાઇ પટેલ, મામલતદાર જેમીની ગઢીયા દ્વારા વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતનું ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચની સુચનાનુસાર ૫૦માં વર્ષની વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર આણંદ જિલ્લાના મતદાન મથકો ખાતે બી.એલ.ઓ. તેમજ અન્ય કર્મીઓ દ્વારા પણ વૃક્ષારોપણના કાર્યની સાથે મતદાન જાગૃતિ અભિયાનને જાેડી વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ વૃક્ષો વાવીને તેનું જતન કરીશું તો જ આપણે કલાઇમેટ ચેઇન્જ કરી શકીશું તેમ જણાવી આણંદ જિલ્લાના નગરજનોને તેમના આંગણામાં એક વૃક્ષ વાવી તેના જતન થકી વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.૫મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનની લોકજાગૃતિ કેળવવાનો સંકલ્પ કરવાનો દિવસ છે અને આજના દિવસે પર્યાવરણના રક્ષણ માટેનો સંદેશો આપવા જૂદી-જૂદી પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. જેમાં આજના દિવસે ઠેર-ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે આણંદ સ્થિત મધુબન રીસોર્ટ સામે આવેલા ઇવીએમ વેરહાઉસ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.


