Gujarat

ક્વાંટના વ્યક્તિએ વેપારીને ૫.૪૦ લાખની નકલી નોટ પધરાવી

 

પાનવડ
કવાંટ તાલુકાના પાનવડ પોલીસ મથક વિસ્તારના ડુંગર ગામના રહીશ અને વેપારી લાલુ ગમતિયાભાઈને ૫,૪૦,૫૦૦ની બનાવટી ચલણી નોટો આપી વડોદરાના નામચીન અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણીએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પાનવડ પોલીસ મથકમાં નોંધાવા પામી છે. આરોપીએ પ્રથમ ભૂસાના બે ગણા રૂા.૫૦ હજાર આપ્યા હતા, જે અસલી ચલણ હતું. ત્યાર બાદ અનિલ ઉર્ફે એન્થોનીએ ફરિયાદી પાસેથી ૮ વખત ભૂસું ઉધારમાં ભરી જઈ તેને એક સાથે રૂપિયા ૫,૪૦,૫૦૦ આપ્યા હતા. જેમાં રૂા.૫૦૦ના દરની નોટો હતી નોટો ખોટી હોવાનું જાણવા છતાં ફરિયાદીને સાચી હોવાનું જણાવ્યું હતું. આ બાબતની જાણ વેપારીને થતાં તેમણે એન્થોનીને ફોન કરીને ખોટી નોટો હોવાનું જણાવતાં એન્થોનીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પાનવડ પોલીસ મથકમાં નોંધાવા પામી છે. વધુ તપાસ છોટાઉદેપુર એસઓજીને સોંપવામાં આવી છે. અનિલ ઉર્ફે અન્થોની પાસે બોગસ ચલણી નોટો આવી ક્યાંથી તે તપાસનો વિષય છે. અનિલ ઉર્ફે અન્થોની પકડાય ત્યારે આ માહિતી બહાર આવી શકે છે. તેની સાથે નકલી ચલણી નોટોની કઇ સિન્ડિકેટ સંકળાયેલી છે તેની તપાસ કરાય તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે. શહેરની એક ચોક્કસ ગેંગ આ પ્રવૃત્તિમાં સંકળાયેલી છે કે કેમ તેની પણ તપાસ થાય તો નવી માહિતી બહાર આવી શકે છે. શહેરમાં પણ ભૂતકાળમાં નકલી નોટો સાથે ઘણા આરોપી પકડાયા છે પણ અનિલ અન્થોની પાસે નકલી ચલણી નોટો આવી ક્યાંથી અને તે પણ આ ગેંગનો સભ્ય છે કે કેમ તેની તપાસ થવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *