દ્વારકા
ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા ટાઉન હોલ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના ૬૮૯ ઉમેદવારોને રોજગાર નિમણૂક પત્ર તેમજ ૧૧૦ ઉમેદવારોને એપ્રેન્ટિસશિપ કરારપત્ર આપવામાં આવ્યા છે. યુવાઓને રોજગારીની તકો મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા એક લાખ યુવાનોને રોજગારી આપવાના લક્ષ્યાંક સાથે છેલ્લા પાંચ મહિનામાં ૯૩૦ ભરતીમેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળાઓના માધ્યમથી ૧,૨૯,૦૩૬ ઉમેદવારોને રોજગારી મળી છે. જે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૫ ભરતીમેળાઓ યોજીને ૬૮૯ ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી છે. આ સાથે ૧૧૦ ઉમેદવારો એપ્રેન્ટિસ તરીકે પસંદગી પામ્યા છે. આ ઉમેદવારોને રોજગાર અને એપ્રેન્ટિસ નિમણુંક પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાની રોજગાર કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૭૬૮૫ યુવાઓને રોજગારી આપવામાં આવી છે. તેવી જ રીતે રોજગાર કચેરીની વિવિધ યોજનાઓનો લાભ યુવાઓ મેળવી રહ્યા છે. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “હાલમાં યુવાઓ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી શકે તે માટે સરકાર દ્વારા વિવિધ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. યુવાઓ અહીં તાલીમ મેળવીને વિવિધ ક્ષેત્રોમાં આગળ પણ વધી રહ્યા છે. ત્યારે યુવાઓ આ વિવિધ તાલીમોનો લાભ મેળવી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવે તેવી પ્રાર્થના કરું છું.” આ કાર્યક્રમ દરમિયાન યુવાઓએ રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર ભુપેશ જાેટાણીયા, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેનના પ્રતિનિધિ પ્રતાપભાઈ પિંડારિયા, નગરપાલિકા સદસ્યા રેખાબેન ખેતીયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, તેમજ રોજગાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


