નડિયાદ
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરે માથું ઉચક્યું છે. ઉત્તરાયણ પર્વ બાદ એકાએક કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ગતરોજ જિલ્લામાં ૧૬૮ કોરોનાના કેસો નોંધાયા છે. જે બાદ ગતરોજના આંક પ્રમાણે એક્ટિવ કેસોની સંખ્યા ૩૯૪ થઈ છે. છેલ્લા ૪૮ કલાકની અંદર ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં ૧, ૪, ૬ જેવા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. પરંતુ છેલ્લા બે દિવસમાં આ આંક ડબલ ડિઝીટમાં ફેરવાયો છે. એટલે કે ગત રોજ નોંધાયેલા ૧૬૮ કોરોનાના દર્દી પૈકી ૧૬ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૧૮મી જાન્યુઆરીએ નોંધાયેલા ૮૫ કોરોનાના દર્દી પૈકી ૨૪ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આમ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે જે ચિંતા જનક બાબત છે. તો વળી ગતરોજ ખેડાની સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાના વોર્ડમાં ચાર દર્દીઓને સારવાર અપાઈ રહી છે. ત્રીજી લહેરમાં સૌપ્રથમ વખત ખેડાની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં આ કોરોનાના દર્દીઓ જાેવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં કોરોનાના કેસોની સંખ્યા વધે તો નવાઈ નહીં. આરોગ્ય વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ જિલ્લામાં લાપરવાહી દાખવનારા સામે કડક કાર્યવાહી કરે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવડાવે તેવી માંગ પ્રબળ બની છે.ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ બની રહ્યું છે. કોરોનાના વધતાં જતાં આંકને કારણે છેલ્લા બે દિવસમાં જ ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તો આ વધતા જતા સંક્રમણને કાબુમાં લાવવા જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ કમર કસે તેવી માંગ કરાઈ છે.


