Gujarat

ગાંધીનગરમાં વૃદ્ધ માતાની કરપીણ હત્યા, પુત્રએ કોદાળીનાં ઘા ઝીંકયા

ગાંધીનગર
ગાંધીનગરના ધરમપુર ગામે રાત્રે કપાતર પુત્રએ પૈસાની માંગણી નહીં સંતોષાતાં ૭૦ વર્ષીય વૃદ્ધ માતાને લાકડી વડે ઢોર માર માર્યો હતો. તેમ છતાં આટલેથી સંતોષ નહીં થતાં દારૂના નશામાં કપાતર પુત્રએ કોદાળીનાં ઘા ઝીંકીને સગી જનેતાની કરપીણ હત્યા કરી દેતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ચીલોડા પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરીને મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના ચીલોડા પોલીસ મથકની હદમાં આવેલા ધરમપુર ધનપુરા ગામે દારૂડિયા પુત્રએ તેની વૃદ્ધ માતાને બુધવારે રાતે લાકડી વડે ઢોર માર મારી કોદાળીના ઘા ઝીંકી અત્યંત ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે. કળિયુગના આ કપાતરને દારૂ પીવા અંગે તેની માતા અવારનવાર ઠપકો આપતી હતી. અને રાત્રે પૈસાની માંગણી નહીં સંતોષાતાં પુત્રએ આ કૃત્ય કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ધરમપુર ગામની સીમમાં ખેતરમાં રહેતાં ૭૦ વર્ષીય વિધવા મધુબેન મનુસિંહ રાણાનો પુત્ર પ્રવીણસિંહ(ઉ. ૫૦)દારૂ પીવાની ટેવ વાળો હોવાથી વર્ષોથી તેની પત્નીએ ડીવોર્સ લઈ લીધા હતા. આ પ્રવિણસિંહને સંતાનમાં બે દિકરાઓ છે. જે પિતાના ત્રાસનાં લીધે અલગ રહે છે. દર પંદરેક મહિને આ પુત્રો તેની દાદી મધુબેનને ત્રણેક હજાર આપી જતાં હતાં. જેનાં થકી ખેતરમાં એકલા રહેતા માં દીકરાનું ગુજરાન ચાલી જતું હતું. પ્રવીણસિંહ દારૂ પીવાની ટેવ વાળો હોવાથી કોઈ કામ ધંધો કરતો નહીં અને વૃદ્ધ માતા જાેડે અવારનવાર ઝઘડા કરી પૈસાની માંગણી કર્યા કરતો હતો. દારૃની કુટેવનાં લીધે મધુબેન ઠપકો આપતા તો પ્રવીણસિંહ તેની માતાને માર પણ મારતો હતો. તો આસપાસના લોકો વૃધ્ધાને છોડાવવા જાય તો પ્રવીણસિંહ તેઓની સાથે પણ ઝગડા કરતો હતો. જેથી કોઈ જલ્દી મદદે જતું નહીં. રાત્રિના સમયે પ્રવીણસિંહ જાેરશોરથી મધુબેનને ગાળો બોલી બૂમો પાડી માં ઉભી થા ખોટા નાટક કરીશ નહી તેમ બાલતો હતો. આ સાંભળી નજીકમાં રહેતો નિતીનસિંહ નરેન્દ્રસિંહ રાણાએ ખેતરમાં જઈ દૂરથી જાેતા મધુબેન તેમના મકાનની બહાર ખુલ્લી જગ્યામાં પડી રહ્યા હતા, અને તેઓ કોઇ બોલચાલ કરતા ન હતા. આથી નીતિને ૧૦૮ જાણ કરતાં મેડિકલ ટીમે તપાસીને મધુબેનને મૃત જાહેર કર્યા હતા. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો. આ અંગે ચીલોડા પીઆઈ એ એસ અસારીએ જણાવ્યું હતું કે, મરનારનાં દીકરા એ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ગઈકાલે રાત્રે પૈસાની માંગણી કરીને પ્રવીણસિંહે માતા મધુબેન સાથે ઝગડો કર્યો હતો. અને વૃધ્ધાને લાકડી વડે ઢોર માર મારવા લાગ્યો હતો. આટલેથી સંતોષ નહીં થતાં દારૂડીયાં પ્રવીણસિંહે કોદાળીનાં ઘા માથામાં મારી મધુબેનની હત્યા કરી દીધી હતી. બાદમાં તેમની લાશને ઢસડીને ખાટલા માં મૂકી ગાળો બોલી બૂમો પાડી માં ઊઠ નાટક કરીશ નહીં એમ બોલવા લાગ્યો હતો. હાલમાં તેની ધરપકડ કરી લઈ મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *