જામનગર તા.૦૫ ફેબ્રુઆરી, આગામી દિવસોમાં મહાશિવરાત્રી જેવા તહેવારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેશ પી. પંડ્યા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) હેઠળ તેમને મળેલ સત્તાની રૂઇએ તા.૦૭ માર્ચ ૨૦૨૨ના ૨૪-૦૦ કલાક સુધી જામનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવી છે. આ સમય દરમ્યાન શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, અથવા લાઠી અથવા શારીરીક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ સાધન લઇ જવા નહી, કોઇપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળા વિગેરે પદાર્થો લઇ જવા નહી, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેંકવા કે ધકેલવાના યંત્રો સાથે લઇ જવા નહિ, મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા કે બાળવા નહી, અપમાનો કરવાના અથવા જાહેર કરવાનાં ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહી, ગીતો ગાવા નહી અને ટોળામાં ફરકવું નહી. પરવાનેદાર હથિયારધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ કે સિનેમા હોલમાં તથા એમ.પી.શાહ મ્યુનિ. ટાઉન હોલમાં પ્રવેશવું નહીં.
આ જાહેરનામું ફરજ પરના અધિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેમને ફરજ નિમિતે હથિયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અધિકારી/કર્મચારી હથિયાર ધરાવતા હોય તેને, જેઓને શારીરિક અશક્તિને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને, પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રીથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને, યજ્ઞોપવિત અપાતુ હોય તેવા બડવાઓને દંડ રાખેલ હોય તેને, પોલીસ અધિક્ષકશ્રી અગરતો તેઓશ્રીએ નિયુક્ત કરેલ અધિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યક્તિને, કિરપાણ રાખેલ શીખને લાગુ પડશે નહિં.
આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંઘન બદલ ઓછામાં ઓછા ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.
૦૦૦૦૦૦ સમાચાર યાદી: ૭૩
તા. ૧૩ ફેબ્રુઆરીના રોજ જામનગર શહેરમાં બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષાનું આયોજન
૦૦૦૦૦૦
સવારે ૧૧:૦૦ કલાક સુધીમાં ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે
જામનગર તા.૦૫ ફેબ્રુઆરી, આગામી તા.૧૩/૦૨/૨૦૨૨ રવિવારના રોજ જામનગર શહેરમાં વિવિધ સ્થળો પર બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલયના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં પેપર માટે બપોરના ૧૨:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાકનો સમય રહેશે.
ઉપરોક્ત પરીક્ષામાં દરેક પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોએ તા.૧૩/૦૨/૨૦૨૨ના રોજ સવારે ૧૧.૦૦થી સુચના મુજબ પ્રવેશ મેળવી લેવાનો રહેશે. બપોરે ૧૨.૦૦ કલાક બાદ બાદ મંડળની ગાઈડ લાઈન મુજબ કોઈ પણ સંજોગોમાં પરીક્ષા બિલ્ડીંગમાં ઉમેદવારોને પ્રવેશ મળશે નહિ. તો દરેક ઉમેદવારોએ સમયસર પ્રવેશ મેળવી પોતાને ફાળવેલ પરીક્ષા સ્થળ, બ્લોક અને બેઠક નંબર જોઈ બેઠક લઇ લેવાની રહેશે તેમ જિલ્લા કો-ઓર્ડીનેટર અને જિલ્લા શિક્ષણાધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
દિવ્યા ત્રિવેદી ૦૦૦૦૦૦