દેશની સ્વતંત્રતાના ૭૫ માં વર્ષની ઉજવણી નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રધ્વજ એ આપણા માટે ગૌરવ સમી બાબત હોય, તેના સન્માનમાં ગૃહ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં નેશનલ ઇમ્પલિમેન્ટેશન કમિટી દ્વારા સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન ‘હર ઘર તિરંગા‘નો કાર્યક્રમ ઉજવાશે. જેમાં ગુજરાત રાજ્યના તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, ઘરો, દુકાનો, ઉદ્યોગ ગૃહોમાં રાષ્ટ્રધ્વજ લહેરાવાશે. લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવો કાર્યક્રમનો હેતુ રહેલો છે.
જૂનાગઢ જિલ્લામાં પણ આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને એક મિટિંગ યોજાઈ હતી. રમત ગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી જૂનાગઢ જિલ્લામાં તા.૧૧ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે. “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાની જનતા જોડાઇ ને પોતાના ઘરોમાં રાષ્ટ્રનો તિરંગો લહેરાવે તેવું આહવાન કલેકટરશ્રી રચિત રાજે કર્યુ છે.
જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો ઘરો, દુકાનો, ઉદ્યોગ ગૃહો આ કાર્યક્રમમાં સામેલ થાય તેવો અનુરોધ પણ કલેકટરશ્રીએ કર્યો છે.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે જૂનાગઢ જિલ્લામાં મહાનગરપાલિકા કક્ષાની, જિલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની અને નગરપાલિકા કક્ષાની અધિકારીશ્રીઓની સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમજ સબંધિત અધિકારીઓશ્રીઓને વિવિધ કામગીરીઓ સોંપવામાં આવી છે.
