આજે ફ્રેન્ડશીપ ડે છે ત્યારે મિત્રતા’ એટલે લોહીનો નહીં આત્માનો અતૂટ નાતો, સુખમાં સદા પાછળ, દુઃખમાં હરહંમેશા આગળ રહે એનું નામ જ ભેરૂ જેતપુરમાં મિત્ર માટે સ્ટેચ્યુ બનાવી અનોખી મિત્રતાની મિશાલ કાયમ કરતો ભેરુ.
આંખોની નદીને વહેતી રોકી શકે એવો એક બંધ એટલે ભાઈબંધ…!’ મિત્ર, સખી-સખા, ફ્રેન્ડઝ, ભાઈબંધ, ભેરૂ.. આ સબંધ દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન અંગ છે. મિત્રતા લોહીના સબંધથી નહીં પરંતુ આત્માના અતૂટ નાતાથી જોડાઈ છે. આવા મિત્રતાના નિઃસ્વાર્થ સબંધની લાગણીને દર્શાવતા ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી રહેલ છે.સુખમાં સદા પાછળ, દુખીમાં હરહંમેશા આગળ રહે એનું નામ જ ભેરૂ છે. ત્યારે આવા ભેરૂ, મિત્ર, સખી-સહેલી, ભાઈબંધ પ્રત્યે લાગણી દર્શાવવાનો અવસર એટલે ફ્રેન્ડશીપ ડે. દર વર્ષે ઓગસ્ટ માસના પ્રથમ રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે. પશ્ચિમી સંસ્કૃતિના આ અવસરને યુવાધન પણ ખૂબ જ ઉત્સાહથી મનાવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તો અગાઉથી જ શુભેચ્છા સંદેશાઓનો ધોધ વહેવા માંડે છે. સાથે ફ્રેન્ડશીપ ડેના દિવસે યુવાન-યુવતીઓ તેમના પાક્કા ભાઈબંધ-બહેનપણીને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી ગિફ્ટ આપે છે.પરતું જેતપુરનાં યુવાને મિત્રતા માટે સ્મશાનમાં દિવંગત મિત્રનું સ્ટેચ્યુ બનાવી મિત્રતાની મિશાલ કાયમ કરતો મિત્ર..
જગજાહેર છે કે દોસ્તીનો સંબંધ સૌથી મોટો સંબંધ માનવામાં આવે છે. સગો ભાઈ પણ જેવી મદદ ન કરી શકે તેવી મદદ ક્યારેક મિત્રો દ્વારા કરવામાં આવી હોવાના કિસ્સાઓ આ જમાનામાં ઠેર-ઠેર જોવા મળતા હોય છે. પરંતુ શહેરના એક યુવાને પોતાની મિત્રતા કાયમી તાજી રહે તે માટે અવસાન પામેલા જીગરી દોસ્તની આબેહૂબ પ્રતિમા બનાવી અંતિમધામમાં મુકાવીને મિત્રતાનો નવો અધ્યાય લખી નાખ્યો છે.
જેતપુરના અપ્પુ કન્સ્ટ્રક્શનવાળા ચંદુભાઈ મકવાણાનો મિત્ર વિશાલ વિરેન્દ્રભાઈ જોગરાણા આજથી સોળ વર્ષ પહેલા તારીખ 26.3.2000 ના રોજ ભાવનગર નજીકના એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. જીગરજાન મિત્ર વિશાલનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું ત્યારથી ચંદુભાઈ હર ઘડી ભારે ગુમસુમ રહેતા હતા. મિત્રતા ભૂલવી અશક્ય લાગતા મિત્રની સ્મૃતિ કાયમી જાળવી રાખવા માટે ચંદુભાઇએ શિલ્પી દ્વારા વિશાલની પ્રતિમા બનાવી અહીના સ્મશાનઘાટમાં મુકતા સ્થાનિક લોકો દ્વારા બંનેની મિત્રતાના ભરપૂર વખાણ થઈ રહ્યા છે.
સોળ-સોળ વર્ષના વહાણા વિતી ગયા છતા મિત્રને ભૂલી ન શકનાર આ યુવાને પોતાના દોસ્તની યાદ કાયમ માટે જળવાઈ રહે તે માટે કરેલું આ કામ શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. લોકો આ કાર્યને મિત્રતાની અનોખી મિસાલ માની હૃદયપૂર્વક આ
કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. દેશ-વિદેશમાં ક્યારેય કોઈ મિત્રએ પોતાના મૃતક દોસ્તની યાદમાં આવું અદ્ભૂત કાર્ય કર્યું હોવાનું હજુ સુધી જોવા કે સાંભળવા મળ્યું નથી.
સામાન્ય રીતે વતન માટે કંઈક કરી છૂટેલા શહીદોની યાદમાં તેમ જ દેશની જીવિત કે મૃત હસ્તીઓના સ્ટેચ્યુ બનાવી અને તે પ્રજા વચ્ચે મુકાતા હોવાની વાતથી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ મિત્રની પ્રતિમા મૂકી સદગતની સ્મૃતિ જાળવવાનો પ્રયાસ થાય તે વાત સૌ પહેલા જેતપુરના ચંદુભાઇએ સાબિત કરી બતાવી છે. ચંદુભાઈની આ અનોખી મિત્રતાની શ્રદ્ધાંજલીથી ચોક્કસ મૃતક મિત્રનો આત્મા પણ તૃપ્ત થયો હશે.

