કોળી સમાજને દલાલ કહેવા બદલ પીઆઈ વિરુદ્ધ ,કોળી સમાજે રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું
જેતપુર કોળી સમાજના આગેવાનને થોડા દિવસ પહેલા જેતપુર સિટી પીઆઈ જે.બી કરમુર દ્વારા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા બે દિવસ પહેલા કોળી સમાજના આગેવાન ચંદુભાઈ મકવાણાએ જેતપુર ડિવિઝનનાં પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપી રજૂઆત પણ કરી હતી.ત્યારે આજે જેતપુર કોળી સમાજ દ્વારા રોષ પૂર્ણ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું..
પ્રાપ્ત વિગત મુજબ કોળી સમાજના આગેવાન એક સામાજિક રજૂઆત બાબતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં કોળી સમાજના આગેવાનનું જે. બી. કરમુરે અપમાન કર્યું હતું જે અંગે કોળી સમાજમાં રોષ ફેલાયો હતો. અવારનવાર પી.આઈ. કરમુર વિરૂદ્ધ આવી ફરિયાદો ઉઠી છે જે અંગે કોળી સમાજે પી.આઈ. કરમુર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી અને જેતપુર ડિવિઝનના એ.એસ.પી. દ્વારા પી.આઈ.ના ગંભીર વર્તનની નોંધ લેવામાં આવી હતી અને યોગ્ય પગલાં લેવામાં આવશે તેવું જણાવેલ હતું.કોળી સમજનાં આગેવાન ચંદુભાઈ મકવાણાએ રાજકોટ મામલતદારને કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ગત તા. 25-03-2022ના રોજ અમારા બાંધકામની સાઈટની બાજુમાં રહેતાં રામસીંહ ચૌરસીયા તથા શીલાદેવીના રહેણાંક મકાનમાં ચોરી થયેલી, જે અંગે તેઓએ મને રાત્રીના 9.00 કલાક આસપાસ ફોનથી જાણ કરેલી અને કહ્યું હતું કે તમો તાત્કાલીક જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં આવો અમારા રહેણાંક મકાનમાં ચોરી થયેલી છે જે અંગેની અમારે ફરીયાદ કરવી છે જેથી અમો માનવતાના ધોરણે તેમજ ફકત સેવા કરવાના હેતુથી પોલીસ સ્ટેશને ગયેલા ત્યારે ત્યાં ફરજ પરના અધિકારી કરમુર હાજર હોય તેઓએ મને જોતાં જ કહેલ કે એ ભાઈ તું ત્યાં જ ઉભો રહે તારે અહીં શું કામ છે, જેથી મેં તેને કહેલું કે આ લોકોએ મને ફોન કરી બોલાવેલો છે એટલે હું અહીં આવ્યો છું જેથી પી.આઈ. કરમુરે કહેલું કે અહીંયા કોઈ દલાલનું કાંઈ કામ નથી.તમે કોળી લોકો દલાલનું કામ કરો છો એમ કહી અમોને કહેલું કે, તું અહીંથી જતો રહે. આમ, અમોને કરમુર ખૂબ જ સારી રીતે ઓળખતાં હોવા છતાં તેમજ અમો સમાજના પ્રમુખ હોઈએ તે જાણતા હોવા છતાં પણ અમોને જાતિ પ્રત્યે અપમાનીત કરેલ છે અને હડધુત કરેલ છે જેથી અમોને ન્યાય મળી રહે અને આવા કોઈ સામાજિક કાર્યકરો પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે તેમની સાથે આવી ઘટના ન બને તે હેતુથી આ આવેદનપત્ર આપશ્રીને આજરોજ આપીએ છીએ. આમ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમજ વિશાળ રેલી કાઢી સમગ્ર કોળી સમાજ દ્વારા જેતપુર પી.આઈ. કરમુરને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગણી પણ કરવામાં આવી હતી તેમજ ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવેતો ઉગ્ર આંદોલન કરીશું.
હરેશ ભાલીયા જેતપુર


