ગીર સોમનાથ
દેશના અગ્રણી બિઝનેસ ગ્રૂપ રિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ જગવિખ્યાત સોમનાથ મહાદેવને શીશ ઝુકાવીને પૂજા અર્ચના કરી હતી. આ તકે અનંત અંબાણીએ મંદિર ટ્રસ્ટને રૂ.૧.૫૧ કરોડનું દાન, સુવર્ણ કળશ અને મહાદેવની વિશેષ પૂજામાં લેવાતા ચાંદીના વાસણો માટે રૂ. ૯૦ લાખનું દાન અર્પણ કર્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જગવિખ્યાત સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં દેશના સૌથી અમીર બિઝનેસમેન રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આવી પહોંચ્યા હતા. ત્યારે સોમનાથ મંદિરે અધિકારીઓએ અનંત અંબાણીને આવકાર્યા હતા. બાદમાં અનંત અંબાણીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ગંગાજળ અભિષેક સાથે મહાપૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેમના હસ્તે મંદિર ટ્રસ્ટને દાન કરાયેલી સોનાથી મઢીત સુવર્ણ કળશની પૂજા કરવામાં આવી હતી. આ તકે અનંત અંબાણીએ મંદિર ટ્રસ્ટને રૂ. ૯૦ લાખની કિંમતના ચાંદીના વાસણો દાનરૂપે અર્પણ કર્યા હતા. આમ એકાદ કલાકની મહાદેવની પૂજાવીધી બાદ મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ મહાદેવની સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા. રિલાયન્સના અંબાણી પરીવારનો સોમનાથ મંદિર સાથે અનેરો નાતો રહ્યો છે. પરીવારના કોઈને કોઈ સભ્ય નિયમિત મહાદેવના દર્શનાર્થે આવતા જ હોય છે. જેમાં ગઈકાલે આવેલા અનંત અંબાણીએ સોમનાથ મંદિરના નૃત્ય મંડપના શીખરને સુવર્ણ મઢીત કરવાના ચાલી રહેલા અભિયાનમાં સહયોગ આપવાના લાગણી વ્યક્ત કરી હતી. જેમાં તેમના પરીવાર દ્વારા ૫૧ સુવર્ણ કળશો ચઢાવવા માટે દાન રૂ. ૬૧ લાખ ૭૧ હજારનું દાન આપવામાં આવેલું હતું. જે તૈયાર થઈને આવ્યા હોવાથી તમામ ૫૧ કળશોની પૂજા તેમના હસ્તે કરાવવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં મહાદેવને વિશેષ કરવામાં આવતી સોમેશ્વર મહાપૂજામાં ઉપયોગમાં લેવાતા થાળ, વાટકા, ડિસ સહિતના ૯૦ લાખની કિંમતના તમામ ચાંદીના વાસણો અર્પણ કર્યા છે. આમ, રિલાયન્સ પરીવાર દ્વારા અનંત અંબાણીના હસ્તે દોઢ કરોડનું દાન સુવર્ણ કળશ અને ચાંદીના વાસણો મારફતે સોમનાથ મંદિર ટ્રસ્ટને અર્પણ કરી ધન્યતા પ્રાપ્ત કરી છે.


