નવસારી
સંદલપોર ગામમાં આવેલા રાકેશ દેસાઈ ના શેરડીના ખેતરમાં અનેક મજૂરો કામે આવતા હોય છે. ત્યારે બીજા અન્ય પુરુષ અને મહિલા મજૂરો સાથે સકીના બેન પણ કામે ગયા હતા. ત્યારે લઘુ શંકા કરવા માટે મહિલા બાજુમાં આવેલા આંબાના ખેતરમાં જતાં ત્યાં અગાઉથી તૂટીને પડેલા વીજ તારના સંપર્કમાં આવ્યા હતા. જેને લઈને કરંટ મહિલાના શરીરમાં પ્રવેશતા જ મહિલા ત્યાં જ ઢળી પડી હતી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે ગ્રામજનો ભેગા થયા હતા અને મહિલાને સારવાર આપાવે તે પહેલાં જ મોતને ભેટતા ગામમાં અરેરાટી વ્યાપી હતી. મહિલાને પરિવારમાં પતિ છે જે પણ મજૂરી કરે છે અને એક ૮ મહિના અને ૨ વર્ષના બાળકોએ માતા ગુમાવી છે. આ સમગ્ર ઘટના બનતાં ગ્રામજનોમાં ડીજીવીસીએલ કંપની પ્રત્યે રોષ ભભૂકી ઊઠ્યો છે. કારણ કે છેલ્લા બે વર્ષથી ગામમાં વીજળીના થાંભલા જર્જરિત બન્યા છે. ગત વર્ષે પણ ૨૦ વર્ષનો એક યુવાન કરંટ લાગવાથી મોતને ભેટ્યો હતો. છતાં પણ ડીજીવીસીએલ કંપની આ મામલે આ સમસ્યા ધ્યાને ન લેતાં રાઠોડ પરિવારની મહિલાનું મોત થતાં ગ્રામજનો આ મામલે વીજ કંપની પર બેદરકારીના આક્ષેપો કરી રહ્યા છે.નવસારી તાલુકામાં આવેલા સંદલપોર ગામમાં શેરડીના ખેતરમાં એક ૨૨ વર્ષીય મહિલાનું વીજ કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ મોત થતાં ગામમાં ગમગીની પ્રસરી છે. ઘટનાને પગલે એક ૮ મહિનાના અને ૨ વર્ષના બાળકોએ માતા ગુમાવી છે.


