અમદાવાદ
અમદાવાદમાં આર્મીના નિવૃત્ત જવાનોએ ૧૪ મુદ્દાને લઈને શાહીબાદ હનુમાન કેમ્પથી ગાંધીનગર સુધીની સૈનિક સન્માન યાત્રા નામે રેલી યોજી હતી. રેલીનો પ્રારંભ થાય એ પહેલાં જ પોલીસ દ્વારા નિવૃત્ત જવાનો અને તેમના પરિવારને ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા. એને કારણે આર્મીના નિવૃત્ત જવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ડિટેઇન કરતાં ભારે રોષ ફેલાયો છે. નિવૃત્ત આર્મીના જવાનોની રેલીને પગલે સચિવાલયના તમામ દરવાજા બંધ કરી દેવાયા હતાં. તેમણે હોબાળો કરતાં દરવાજા બંધ કરાયા હતાં. પરંતુ નિવૃત્ત આર્મીમેનો સચિવાલયના ગેટ નંબર ૧ સામે શાંતિપૂર્ણ રીતે ગોઠવાઈ ગયાં હતાં. તેમણે અલ્ટીમેટમ આપ્યું હતું કે જાે તેમને મુખ્યમંત્રીને મળવા દેવામાં નહીં આવે તો ફરીવાર ગેટ નંબર એકમાં ઘૂસવાનો પ્રયત્ન કરશે. અમારા પ્રશ્નોને લઈને આજે અમે રેલીનું આયોજન કર્યું છે અને જ્યારે રેલી શરૂ થઈ ત્યારે કેટલાક લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે, પરંતુ મારી સાથે અન્ય નિવૃત્ત આર્મીમેનો પણ અત્યારે ગાંધીનગર તરફ જવા રવાના થઇ ચૂક્યા છે. તેમનું કહેવું છે કે અમે વિધાનસભા ખાતે જઈને મુખ્યમંત્રીને પણ મળીને રજૂઆત કરીશું. વર્ષો જૂના અમારા જે મુદ્દા છે એની માગ કરીશું. દેશની સુરક્ષામાં અડગ ઊભા રહેલા સૈનિકો નિવૃત્ત થયા બાદ છેલ્લાં ચાર વર્ષથી પોતાના હક માટે લડત લડી રહ્યા છે.


