વડોદરા
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી ૩૬ વર્ષીય ખ્રિસ્તી મહિલા સુજાતા (નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ ૨૦૨૧માં સમાજના રીતરિવાજ મુજબ આણંદના રહેવાસી મનુભાઈ ઉર્ફે મનીષભાઈ રાઠોડ સાથે થયા હતા. લગ્ન બાદ અવારનવાર ઘર કંકાસ થતાં લગ્નના દોઢમાં જ સુજાતા વડોદરા પિયરમાં આવી ગઇ હતી. અને પિયરમાં માતા, પિતા અને ભાઇ સાથે રહેતી હતી. દરમિયાન બે દિવસ પહેલાં પતિ મનુએ સમાધાન માટે પત્ની સુજાતાને ફોન કર્યો હતો અને બહાર મળવા બોલાવી હતી. પરંતુ, તે દિવસે સુજાતાએ તબિયત સારી ન હોવાનું જણાવતાં પતિએ બીજા દિવસે આવવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સવારે સુજાતાના ભાઇને મનુએ ફોન કરી સુજાતાને લેવા માટે આવુ છું. તેમ જણાવી સુજાતાને લેવા માટે આવી પહોંચ્યો હતો. દરમિયાન, મનુ સમાધાન કરવાના બહાને પત્ની સુજાતાને સયાજીબાગમાં લઈ ગયો હતો. વાતચીત દરમિયાન પતિએ છૂટાછેડાના પેપર ઉપર સહી કરવાનું જણાવતા પરિણીતા સુજાતાએ ઇન્કાર કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા પતિએ પત્ની સુજાતાને અપશબ્દો બોલી, લાફા ઝીંકી, દુપટ્ટો ખેંચી ગળુ દબાવવાની કોશિશ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. આ બનાવ બાદ સુજાતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચી હતી અને પતિ મનુ સામે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.લગ્નના દોઢ મહિના બાદ ઘર કંકાસથી કંટાળી પિયરમાં રહેતી પરિણીતાને સમાધાન માટે સયાજીબાગમાં બોલાવી પતિએ છૂટાછેડાના પેપર ઉપર સહી કરવા દબાણ કર્યુ હતું. છૂટાછેડાના પેપર ઉપર સહી કરવાનો ઇન્કાર કરનાર પત્નીને પતિએ લાફા ઝીંકી ગળુ દબાવવાની કોશિશ કરી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગેની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.


