ગાંધીનગર
ગાંધીનગરની કન્ઝ્યુમર કોર્ટે આપ્યો છે બહુજ મોટો અને મહત્વ નો ચુકાદો, જેમાં ગાંધીનગરના માણસામાં પશુ પાલકની મૃત ગાયનો કલર વીમાની પોલિસીનાં વર્ણન મુજબ નહીં હોવાનું કારણ દર્શાવી યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ક્લેઈમ નાંમજૂર કરી દેવાયો હતો. જે કેસ કન્ઝ્યુમર કોર્ટમાં ચાલી જતાં બન્ને પક્ષોની દલીલનાં અંતે વીમા કંપનીને છ ટકા વ્યાજે કલેઇમની રકમ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. માણસાનાં ચરાડા ગામના પશુપાલક ભરતભાઈ બારોટે ગાય ખરીદવા માટે ચરાડા નાગરિક સહકારી બેંકમાં ધિરાણ માંગ્યું હતું. જે મજૂર થતાં એચએફ ગાયનો ૨૫ હજાર નો વીમો યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની ઊંઝાથી લેવામાં આવ્યો હતો. આ વીમાની અવધિ તા. ૨૯/૦૮/૨૦૧૯ સુધીની હતી. આ દરમ્યાન વીમા વાળી ગાયનું ટેગ તૂટી ગયું હતું. જેથી ભરતભાઈએ રીટેંગિંગ કરવા માટે બેંકને જાણ કરી હતી. જેનાં પગલે ગાયનું રીટેંગિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ રીટેંગિંગ કરવાથી જુના ટેગની જગ્યાએ નવો ટેગ નંબર આવી ગયો હતો. જ્યારે રીટેંગિંગ સર્ટિફિકેટમાં ગાયનો કલર બ્રાઉનીશ બ્લેક દર્શાવવામાં આવ્યો હતો. જેનાં થોડા સમય પછી તા. ૨૭/૦૨/૨૦૧૯ નાં રોજ ગાય મૃત્યુ પામી હતી. આથી ભરતભાઈ દ્વારા વીમો કલેઇમ કરવામાં આવ્યો હતો. પરંતુ વીમા કંપનીએ મૃત ગાયનો કલર વીમા પોલિસીના વર્ણન મુજબ નહીં હોવાથી મરી ગયેલી ગાય એજ છે તે પૂરવાર નહીં થતું હોવાનું કારણ દર્શાવી ક્લેઈમ નાં મંજૂર કરી દીધો હતો. બાદમાં ભરતભાઈ વતી માણસા કૃષ્ણ ગ્રાહક સુરક્ષા કેન્દ્રનાં પ્રમુખ નારણભાઈ ચૌધરીએ ગાંધીનગરની કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં બંને પક્ષકારો ની દલીલોનાં અંતે કોર્ટે વીમા કંપનીને છ ટકા વ્યાજ સાથે વીમાની રકમ ચૂકવવા માટે હુકમ કર્યો છે. ઉપરાંત માનસિક ત્રાસ પેટે રૂ. ૨૫૦૦ અલગથી પશુપાલકને ચૂકવવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે.
